કચ્છ-

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડીયા હાલમાં ભુજ પ્રવાસે છે. જ્યાં તેમણે યોજેલી પત્રકાર પરિષદમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સલામતીના પગલાં, RSS સાથેના સંબંધો, દેશમાં વધતી જતી મોંઘવારી તથા અનેક ખેડૂતના કાયદા સહિતના મુદ્દે તેમણે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે તાજેતરમાં RSSના સુપ્રિમો મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા 'હિન્દુ અને મુસલમાનોના DNA એક જ હોય છે' નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, મેં મારી જિંદગીના 55 વર્ષ RSS સાથે વિતાવ્યા છે. આ નિવેદન બાદ મને RSSમાં જોડાવાનો અફસોસ થાય છે.

પ્રવીણ તોગડીયાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં કોરોના હજુ ગયો નથી. જેથી લોકો બે માસ્ક પહેરે, વેક્સિનના બન્ને ડોઝ લે અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તે જરૂરી છે. આ સાથે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં કોરોના નડે છે પણ રાજકીય મેળાવડામાં જનમેદની ભેગી થાય છે. જેથી તમામ કાર્યક્રમોમાં એકસમાન હાજરી હોવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનામાં ઓક્સિજનની અછતથી એક પણ મોત ન થયું હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ દેશમાં 117 લોકો ઓક્સિજનની અછતથી મોતને ભેટ્યા છે. આ સાથે તેમણે કચ્છમાં નર્મદાના કામો 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવે અને ગૌ હત્યાના બનાવોમાં મૃત્યુદંડની સજા થાય તેવી માગ કરી હતી.