દ્વારકા-

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થતા રાજ્ય સરકારે અનેક નિયંત્રણો લાદયા છે. જો કે, ગઈકાલે રાજ્ય સરકારે નિયંત્રણોમાં કેટલીક છૂટ આપી છે. પરંતુ હજુ સંપુર્ણ છુટ આપવામાં આવી નથી. ત્યારે આ અનુસંધાને યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દ્વારકાનું જગત મંદિર વધુ 6 દિવસ માટે બંધ રહેશે. યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આગામી 27 તારીખ સુધી બંધ રહેશે. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તો મંદિર અંદર પ્રવેશ નહિ કરી શકે. આગામી 27 મે બાદ કરવામાં આવનાર નિર્ણય બાદ મંદિર ખોલવામાં આવશે. દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. મંદિર અંદર ભગવાન દ્વારકાધીશની સેવા પૂજા નિત્ય ક્રમ મુજબ યથાવત રહેશે. જો કે, સરકારના આગામી નોટિફિકેશન બાદ અન્ય નિર્ણય લેવામાં આવશે.