વડોદરા, તા.૧

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આવતીકાલે બપોરે ૧ કલાકે વડોદરા નજીક નેશનલ હાઇ-વે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર રૂ. ૫૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારબાદ દુમાડ જંક્શન ખાતે જાહેરસભાને સંબોધન કરશે. આ બ્રિજ બનવાથી અકસ્માત ઝોન ગણાતા દેણા ચોકડી અને દુમાડ ચોકડી ઉપર અકસ્માતોના બનાવોમાં ઘટાડો થવાની તેમજ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થવાની શક્યતાઓછે.

દેણા ફ્લાય ઓવરબ્રિજ ૧ કિલોમીટરની લંબાઇનો ૬ લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. અને દુમાડ ફ્લાય ઓવરબ્રિજ ૩ કિલોમીટરનો બનાવવામાં આવ્યો છે. દેણા ખાતે તે સાથે બ્રિજની બંને બાજુ ૩-૩ મીટરના સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. આમ બંને બાજુ સર્વિસ રોડ સાથે ૧૨ લેનનો ફ્લાય ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રીજની બન્ને બાજુ સર્વિસ રોડ સાથે બનાવયેલા આ ૧૨ લેનના ફ્લાયઓવર બ્રિજથી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત આવશે જ, સાથે અકસ્માતોના બનાવોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

ઉલ્લેખનિય છે કે, દુમાડ ચોકડી પાસે દુમાડ, સાવલી, વડોદરા શહેર, નેશનલ હાઈવે નંબર-૮ અને એક્સપ્રેસ વે – આ તમામનું ટ્રાફિક ભેગું થતું હતું. જેના કારણે અહીં વાહનોની લાંબી કતારો લાગવાથી ઇંધણના બગાડ સાથે એક વાહનચાલકનો સરેરાશ ૩૫ મિનિટ જેટલો સમય પણ બગડતો હતો.

ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ વડોદરાથી દેણા ગામ થઇ સાવલી તરફ જનારા લોકો તેમજ સાવલીથી દેણા ગામ થઇ વડોદરા આવનારા લોકો હાઇવે ક્રોસ કરી શકશે. હવેથી માત્ર સાવલી કે વડોદરા શહેર આવતા-જતા વાહનચાલકો જ સર્વિસ રોડનો ઉપયોગ કરશે. જેના કારણે દેણા-દુમાડ ચોકડી પાસે ટ્રાફિકનું ભારણ અને અકસ્માતોનું પ્રમાણ બંને ઘટશે.

ઉલ્લેખનિય છે કે, સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આ બન્ને સ્થળે ફ્લાય ઓવર બ્રીજ બનાવવા માટે રજૂઆત કરી હતી અને સપ્ટેમ્બર-૨૦૨૧ માં કેન્દ્રીય મંત્રી ગડકરીના હસ્તે વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

રૂા બન્ને બ્રીજન ઉદ્‌ઘાટન સમારંભમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યઓ તથા એન.એચ. એ. આઈ અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.