દિલ્હી-

ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતીય વાયુસેનાએ પૂર્વ વાયુ કમાન હેઠળ હાસીમારાના વાયુસેના સ્ટેશનમાં રાફેલ વિમાનને પોતાની ૧૦૧ સ્ક્વોડ્રનમાં સામેલ કર્યા. પશ્ચિમ બંગાળમાં હાસીમારા પાસે પહેલા મિગ ૨૭ સ્ક્વોડ્રન હતી. જેને હવે સેવામુક્ત કરાઈ છે. તે ભૂટાન સાથે નિકટતાના કારણે વાયુસેનાના સંચાલન માટે એક રણનીતિક આધાર છે. ચુંબી ઘાટી, જ્યાં ભારત, ભૂટાન અને ચીન વચ્ચે એક ત્રિકોણીય જંકશન છે ડોકલામ નજીક છે, જ્યાં ૨૦૧૭માં ગતિરોધ થયો હતો. ત્રણેય દેશો માટે ત્રિકોણીય જંકશન ચિંતાનો વિષય રહ્યો છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આર કે એસ ભદૌરિયાએ કહ્યું કે પૂર્વ ક્ષેત્રમાં ભારતીય વાયુસેનાની ક્ષમતાને મજબૂત કરવાના મહત્વને ધ્યાનમાં રાખતા હાસીમારામાં રાફેલને સામેલ કરવાની સાવધાનીપૂર્વક યોજના બનાવવામાં આવી છે. તેઓ ક્ષેત્રમાં ચીનથી જાેખમ વિશે વાત કરી રહ્યા હતા.

ભારત અને ચીન છેલ્લા દોઢ વર્ષથી સરહદ વિવાદમાં ગૂંચવાયેલા છે અને તણાવ ઓછો કરવા માટે અને મુદ્દાના ઉકેલ માટે રાજનીતિક અને સૈન્ય સ્તરે વાતચીત ચાલુ છે. ૧૦૧ સ્ક્વોડ્રનનો ગૌરવશાળી ઈતિહાસ યાદ કરાવ્યો, જેને ફાલ્કન્સ ઓફ ચંબ એન્ડ અખનૂરની ઉપાધિ અપાઈ છે. ભદૌરિયાએ વાયુ યોદ્ધાઓને પોતાના ઉત્સાહ અને પ્રતિબદ્ધતાને નવા સામેલ કરાયેલા પ્લેટફોર્મની બેજાેડ ક્ષમતા સાથે જાેડવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે તેમાં કોઈ સંદેહ નથી કે સ્વોડ્રન જ્યારે પણ અને જ્યાં પણ જરૂર હશે, ત્યાં હાવી રહેશે અને તે સુનિશ્ચિત કરશે કે વિરોધી હંનેશા તેમની ઉપસ્થિતિથી ભયભીત રહેશે. ૧૦૧ સ્ક્વોડ્રન રાફેલ વિમાનથી લેસ થનારી બીજી આઈએએફ સ્ક્વોડ્રન છે. સ્ક્વોડ્રનની રચના ૧ મે ૧૯૪૯ના રોજ પાલમમાં કરાઈ હતી અને ભૂતકાળમાં હાર્વર્ડ, સ્પિટફાયર, વેમ્પાયર, સુખોઈ-૭, અને મિગ ૨૧ એમ વિમાનોનું સંચાલન કરી ચૂકી છે. આ સ્ક્વોડ્રનના ગૌરવશાળી ઈતિહાસમાં ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધોમાં સક્રિય ભાગીદારી સામેલ છે. ૨૯ જુલાઈ ૨૦૨૦ના રોજ પાંચ રાફેલ વિમાનોની પહેલી બેચ ઉતર્યા બાદ પહેલી સ્ક્વોડ્રન અંબાલામાં બનાવવામાં આવી હતી. આ વિમાનોને ૧૦ સપ્ટેમ્બરના રોજ અંબાલા એરબેસ પર ૧૭ ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ કરાયા હતા. ભારતે લગભગ ૫૮૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રાફેલ ફાઈટર વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર ૨૦૧૬માં ફ્રાન્સ સાથે એક આંતર સરકારી કરાર કર્યો હતો. રાફેલ ૪.૫ પેઢીનું વિમાન છે.