દિલ્હી-

યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે ભારતની કોરોના રસીની ઉત્પાદન ક્ષમતાને બિરદાવી હતી અને કહ્યું હતું કે ભારતની કોરોના રસી વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ હતી.

તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ આ રસીનો ભરપુર ઉપયોગ કરશે એવી મને આશા છે. ‘કોરોનાની રસીની બાબતમાં ભારત મહત્ત્વનું પ્રદાન કરશે એવી મને આશા છે. ભારત પાસે બધી જાતની સાધનસામગ્રી છે અને દુનિયાભરમાં રસીકરણના કાર્યમાં ભારતની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ભારતના પ્રયાસોથી વૈશ્વિક રસીકરણનો કાર્યક્રમ સફળ થશે.’

ભારતે પાડોશી દેશોને રસીના લાખો ડૉઝ આપ્યા છે એવા સમયે ગુતારેસના આ શબ્દો મહત્ત્વના બની રહે છે. પાડોશી દેશો ઉપરાંત ભારતે ઓમાન, નિકારાગુઓ, પેસિફિક આયલેન્ડ સ્ટેટ્‌સ અને કેરિકોમ દેશોને પણ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ બનાવ્યો છે. ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકે વિરાટ પાયા પર કોરોનાની રસી બનાવવાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. એક તરફ દેશમાં વિવિધ રાજ્યોમાં રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ પાડોશી દેશો અને અન્ય રાષ્ટ્રોને પણ કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ભારતે ઘડ્યો હતો. યુનોએ આ માનવતાવાદી કાર્યક્રમની નોંધ લીધી હતી અને યુનોના મહામંત્રી એન્ટોનિયો ગુતારેસે આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

દરમિયાન, કેન્દ્રના વિદેશ ખાતાના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે કહ્યું હતું કે ભારત આફ્રિકાને કોરોના વેક્સિનના એક કરોડ ડૉઝ આપવાની તૈયારી કરી રહ્યું હતું. આ ઉપરાંત યુનોના હેલ્થ વર્કર્સને પણ ભારત કોરોનાની રસીના દસ લાખ ડૉઝ આપશે. આમ અન્ય મતભેદો ભૂલીને ભારત અત્યારે જરૂરિયાતવાળા દેશોને કોરોનાની રસી આપી રહ્યું હતું.

યુએન ચીફ ગુટેરેસે પણ કોરોના વેક્સિન લીધી

યુએન જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે ન્યૂયોર્કમાં વેક્સિનેશન કરાવ્યુ હતું. યુએન ચીફ બ્રાન્ક્‌સના વેક્સિન સેન્ટર પહોંચીને ત્યાં મીડિયાની સામે વેક્સિન મુકાવી હતી. બાદમાં તેમણે કહ્યું કે, હું ભાગ્યશાળી છું અને તે લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે મને વેક્સિનેશન કરાવ્યું. આ મહામારીમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી સુરક્ષિત નથી, જ્યાં સુધી આપણે બધા જ મહામારી સામે રક્ષણ નહીં મેળવીએ.