વડોદરા : કોરોના મહામારીના કારણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયને માઠી અસર થઈ છે. ડિસેમ્બર સુધી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રાબેતા મુજબ થાય તેવા સંજાેગો નથી ત્યારે કોઈને વાહન નોનયૂઝમાં મૂકવું હોય તો એડવાન્સ ટેક્સ ભર્યા સિવાય મુકી શકાય, રોડ ટેક્સમાં ૧૨ મહિનાની રાહત આપવાની માગ કરવામાં આવી હતી.વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર આપી કરાયેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે, તા.૧લી એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધી રોડ ટેક્સમાં માફી આપી છે પરંતુ સ્કૂલો, પ્રવાસ બંધ હોવાના કારણે બસ માલિકો બેન્કના હપ્તા ભરવામાં અસક્ષમ છે. હાલ ગાઈડલાઈન મુજબ પ૦ ટકા મુસાફરો જ બસમાં લઈ જવાના હોય છે પરંતુ ડીઝલનો અસહ્ય ભાવ હોઈ બસ માલિકો ભાવ વધારે તો મુસાફરોને પરવડે તેમ નથી અને ડિસેમ્બર સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પૂર્વવત્‌ થાય તેવા સંજાેગો નથી. ત્યારે વાહન ન ચલાવવું હોય તો નોનયૂઝ મુકવા માટે જે એડવાન્સ ટેક્સ ભરવો પડતો હોય છે આ પ્રથા નાબુદ કરી વગર એડવાન્સ ટેક્સ ભર્યે અમારું વાહન નોનયૂઝ સ્વીકારવામાં આવે. સરકારે આપેલ રોડ ટેક્સ રાહતની અવધિ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થાય છે જેમાં વધારો કરી ૧૨ માટે માટે રોડ ટેક્સમાં રાહત આપવા તેમજ લૉકડાઉનના ત્રણ માસ દરમિયાન અને અત્યાર સુધી એટલે કે, છ મહિનાથી અમો વ્યવસાય કરી ન શક્યા હોઈ બેન્કના હપ્તાઓ ભરવામાં અને વ્યાજમાં રાહત આપવા અને વીમાની અવધિમાં છ મહિનાનો વધારો કરવા માગ કરી છે.