દિલ્હી-

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે યોજાનારા ભૂમિપૂજન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ઘણા લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા પહોંચવા લાગ્યા છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી રહ્યા છે. રાયએ એ પણ માહિતી આપી હતી કે ભૂમિપૂજન માટે 136 સંતોને આમંત્રણ અપાયું છે. 

સોમવારે સાંજે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા ચંપત રાયે કહ્યું, 'વિશ્વ હિન્દુ પરિષદના નેતા દિનેશચંદ સહિત હરિદ્વાર અખાડાનાં મહંતો અહીં પહોંચ્યા છે. આવતીકાલે સાંજ સુધીમાં બધા આમંત્રિતો અહીં પહોંચશે. RSSનાં મોહન ભાગવત, ભૈયાજી જોશી અને અન્ય અહીં આવશે. 

તેમણે કહ્યું કે સંત-મહાત્મા સહિત પોણા બસો લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અમે બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારી અને ફૈઝાબાદના રહેવાસી મોહમ્મદ શરીફને પણ આમંત્રણ મોકલ્યા છે. મોહમ્મદ શરીફ તેમના ધર્મો અનુસાર મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરે છે.