ગાંધીનગર-

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના વિપક્ષી નેતાના અંગત સચિવની જગ્યા ઉપર એચ. જે. પારેખ કે જેઓ નિવૃત ડેપ્યુટી કંટ્રોલર છે અને ગત 31 જાન્યુઆરી 2020ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા, જેમની નિમણૂંક વિપક્ષ નેતાના અંગત સચિવ તરીકે કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તે જગ્યાએ મંજૂર કરવામાં આવી નથી.


અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાડા ચાર મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાંય વિપક્ષ નેતાના કાર્યાલય માટે અંગત સચિવની નિમણૂકની ખાલી જગ્યા સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી નથી. એટલું જ નહીં આ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી નહીં હોવાનો આક્ષેપ વિપક્ષ નેતાએ કર્યો છે.આ ઉપરાંત નિવૃત્ત અન્ય આઈએએસ અધિકારી બી. એન. નવલાવાલા, જે.બી.મોઢા, પરીમલ શાહ, અરવિંદ જોશી, મહેશ જોશી, ડી.એમ.પટેલ, સી.જે.ગોઠી, અશોક માણેક, એમ.કે.જાદવ, એસ.એસ.રાઠોડ અને વિજય બધેકાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ તમામ આઈએએસ અને ઉચ્ચ અધિકારી કક્ષાના નિવૃત્ત થયેલા આ અધિકારીઓ સરકારમાં મુખ્યપ્રધાનના સલાહકારથી માંડીને મુખ્યપ્રધાનના સંયુક્ત સચિવ, અગ્ર સચિવ, સચિવ તેમજ અલગ અલગ પ્રોજેક્ટમાં સેવાઓ આપી રહ્યા છે


ત્યારે રાજ્ય સરકારના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની વય 69 થી 79 સુધીની થવાનું ઉલ્લેખ કરે છે અને આ અંગે પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાનને અપીલ કરી છે કે, રાજ્ય સરકારમાં મુખ્યપ્રધાન કાર્યાલયથી માંડીને અલગ અલગ જગ્યાઓ ઉપર વય નિવૃત્ત થયેલા ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક ઝડપી કરવામાં આવતી હોય તો મારા કાર્ય માટે નિમણૂંકની મંજૂરીમાં સરકાર કેમ વિલંબ કરે છે તેવો પ્રશ્ન કર્યો છે. વિપક્ષ નેતા માટે ખાલી પડેલી અંગત સચિવની નિમણૂકની કાર્યવાહી ઝડપી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવની ચેમ્બર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી પરેશ ધાનાણીએ ઉચ્ચારી છે.