બનાસકાંઠા-

બનાસકાંઠાના દિયોદરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખોટા કાગળ બનાવી પત્નીએ પતિ પાસેથી છૂટાછેડા લઈ બીજાને પરણી હતી. પરિણીત મહિલાએ તેના પતિની જાણ બહાર ખોટી સહી કરી છૂટાછેડા લીધા હતા. જાેકે, પત્નીને સાસરે લેવા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. ફોરણાના વિક્રમ ચૌધરીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ ખોડા ગામની મોંઘીબેન સાથે થયા હતા. આ લગ્ન રીતરિવાજ મુજબ સમાજની સામે થયા હતા. ત્યારે ૨૧ ડિસેમ્બરના રોજ મોંઘીબેન પોતાના પિયરમાં જવાનું કહીને નીકળી હતી.

ત્યારે બીજા દિવસે તેમની પત્ની તેમને રસ્તામાં મળી હતી, ત્યારે તેણે પતિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે ઘરે પાછી નહિ આવે. આ વાક્યો સાંભળીને પતિ શોક્ડ થઈ ગયો હતો. તેણે ઘરે જઈને પોતાના પરિવારને વાત કરી હતી. આ અંગે વાત મોંઘીબેનના પરિવાર સુધી પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, તેણે છૂટાછેડાના ખોટા કાગળો બનાવીને તેના પર પતિની સહી લઈ લીધી હતી. વિક્રમભાઈએ સમગ્ર ઘરમાં તપાસ કરતાં પત્ની તમામ ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈ ગઈ હતી. અને પતિને અંધારામાં રાખી વકીલ મારફતે બોગસ સ્ટેમ્પ કરી છૂટાછેડા લઈ લીધા હતા. પતિએ વધુ તપાસ કરી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, છૂટાછેડા લઈને પત્નીએ બીજે સંસાર પણ માંડી લીધો હતો. પત્નીએ બીજે લગ્ન કરી લીધા હતા. મહિલાએ દિયોદર તાલુકાના છાપરા ગામના ભરત ચૌધરી સાથે બીજા લગ્ન કર્યા હતા. જાેકે, આ વાતથી વિક્રમ ચૌધરી અને તેનો પરિવાર સાવ અજાણ હતો. તેને અંધારામાં રાખીને પત્નીએ આખો ખેલ ખેલ્યો હતો.