પોરબંદર મહાભારતના શૈલપર્વમાં જેનો સ્પષ્ટ ઉલ્લેખ છે તે સુરાષ્ટ્રનું માધવ તીર્થ એટલે કે માધવપુર ઘેડ ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગ પર્વ લોકમેળાની તૈયારીમાં મોહનમય બની ગયુ છે. એક એક ભક્ત ભાવિકના હૈયામાં વા’લાના વિવાહનો હરખ છે, તો બીજી બાજુ ઉત્તર પૂર્વીય વિસ્તાર ના રાણી- માતા રૂક્ષ્મણી અને દ્વારકાધીશ માધવરાયના માધવપુરમાં લગ્નના સાંસ્કૃતિક સમન્વયને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આઝાદીના અમૃત અવસરે ઉજાગર કરવા ઉત્તરપૂર્વીય વિસ્તારના અને ગુજરાતના એમ કુલ ૨૪૩ કલાકારો કલાનો ઓજસ પાથરવા તૈયાર છે. મહેરામણે માધવરાયને મધુવંતીના કાંઠે મધુવનમાં જે ભૂમિ લગ્ન માટે આપી તે ભૂમિ કુદરતી રમણીયતા વચ્ચે સ્વર્ગ જેવી છે. આવા માધવપુરમાં રામનવમી તા.૧૦થી તા.૧૪ સુધી યોજાનાર લોકમેળો ચાલુ વર્ષે રાષ્ટ્રીય ફલક પર ઉજાગર થઇ રહ્યો છે. માધવપુરના ગ્રામજનોમાં હર્ષ અને ઉત્સાહ છે. ભગવાન માધવરાય ના લગ્ન પ્રસંગ ની તૈયારીઓ કરી રહેલા જાનૈયા અને માંડવીયા તેમજ માધવરાય અને રૂક્ષ્મણી મંદિર દ્વારા પણ તૈયારીઓ થઈ રહી છે. કવિ મનોજ ખંડેરિયા ના શબ્દોમાં અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા એમ ગ્રામજનો -આયોજકો- સરકારી તંત્રના કર્મયોગીઓ સૌને આવકારવા સુસજ્જ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યો ના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને આવકારવા - બહારથી આવનાર પ્રવાસીઓ ભક્તો ને માધવપુરમાં આવકારવા અને લોકમેળો આનંદનો અવસર બને તે માટે ગુજરાત સરકારના સંબંધિત વિભાગો અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર જહેમત ઉઠાવી રહ્યુ છે. તા.૧૦ એપ્રિલના રોજ સાજે ૬ કલાકથી શરૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સરકારી તંત્ર દ્વારા મુખ્ય કાર્યક્રમ ની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચાર દિવસ સુધી જાણીતા કલાકારો અને કલાવૃંદ સહિત વિવિધ કૃતિઓ માટે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયારીઓ કરી છે.