ભુજ, જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પીને કરવામાં આવી હતી. લાલન કોલેજ ભુજ ખાતે આન બાન શાનપૂર્વક રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિવિધ સાત પ્લાટુનની સલામી સાથે મનાવાએલા ગણતંત્ર પર્વમાં નામી અનામી શહીદો, સ્વાતંત્ર્યવીરો અને દેશભકતો તેમજ ભૂકંપપીડિતોને ભાવભીની ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજયમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ, કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૩માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક સાથે જાેડાએલા તમામનું સમર્પણ મહાન, ઉત્કૃષ્ટ અને અમુલ્ય હતું. દેશના સ્વાતંત્રવીરો અને શહિદોને આ પર્વે નતમસ્તક વંદન કરું છું.

આ પ્રસંગે મંત્રીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતને ભવ્ય બનાવવા માટે આપણા સૌના લોકલાડિલા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અત્યારે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બની વણથંભ્યો વિકાસ સાધી રહયો છે. પ્રવર્તમાન કોરોના મહામારી વચ્ચે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં ૧૬૦ કરોડથી વધુ વેકસિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.તેમણે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણા દેશે વિશ્વનાં અનેક દેશોને કોરોના સામેની રસી ઉપલબ્ધ કરાવી છે. રાજયના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વવાળી સરકારે તાજેતરમાં જ સુશાસનના ૧૨૧ દિવસ પૂર્ણ કરી લોકાભિમૂખ વહીવટનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજય સરકારની જનસેવાની આ પરિશ્રમ યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતનાં લક્ષ્યને સાકાર કરવા સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહયું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતએ દેશ માટે ગ્રોથ એન્જિન છે. કચ્છ જિલ્લાની વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છ એ ગુજરાતનો વિકસિત જિલ્લો છે. તમામ ક્ષેત્રે કચ્છ ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહયું છે. કચ્છ એ ભારતનું સિંગાપુર બને તે દિશામાં પ્રગતિ કરી રહયું છે. તાજેતરમાં જ માન.મુખ્યમંત્રી દ્વારા નર્મદાના વહી જતાં વધારાના એક મીલીયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશને ફાળવવાની રૂ.૪૩૬૯ કરોડની યોજનાને વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ ૩૩૭.૯૮ કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા ૪ લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે ૩૮ જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.કચ્છ જેવા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે પણ અનેક ઉજળી તકો રહેલી છે. પ્રવાસન માટે હવે કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન મેળવી રહ્યો છે ત્યારે કચ્છના પ્રસિદ્ધ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્‌ડ હેરિટેઝ સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લખપત, માતાના મઢ, જેસલ-તોરલ મંદિર, પુંઅરેશ્વર મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર અને થાન જાગીર જેવા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે અનેક પ્રોજેકટ હેઠળ કાર્યો ચાલી રહ્યા છે. આ તકે મંત્રીએ ૨૬મી જાન્યુઆરી ઈ.સ.૨૦૦૧માં આવેલ વિનાશક ભૂકંપમાં હતભાગી થનાર પુણ્યાત્માઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.