કેવડિયા-

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ માં પ્રથમવાર એકસાથે 6 રાજ્યોમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા રેલવેસ્ટેશનને જોડતી 8 ટ્રેનો નું લોકાર્પણ કરશે. રવિવારથી આ ટ્રેનોનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન રવિવારે સવારે અગિયાર વાગ્યે નવી દિલ્હીથી આ ટ્રેનોને ઓનલાઈન રીતે લીલી ઝંડી દર્શાવીને ટ્રેનોનું પ્રસ્થાન કરાવશે. આ દરમિયાન અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ, દાદર, રેવા, વારાણસી, પ્રતાપનગર અને કેવડિયાથી બે મેમુ સહિત 8 ટ્રેન એક સાથે રવાના થશે. પૈકીની અમદાવાદ-કેવડિયાની ટ્રેનમાં સરદાર પટેલના અખંડ ભારતની સિદ્ધિને દર્શાવતી ઝાંખી જોવા મળશે. તેમાં વિવિધતામાં એકતા દર્શાવતાં યુનિટી ઇન ડ્રેસ ડાઇવર્સિટી, યુનિટી ઇન ડાંસ ડાઇવર્સિટી, યુનિટી ઇન મ્યુઝિકલ ડાઇવર્સિટી, યુનિટી ઇન કલ્ચરલ ડાઇવર્સિટી તથા યુનિટી ઇન રીલિજિયસ ડાઇવર્સિટી જોઈ શકાશે. આ પ્રવાસમાં સરદાર પટેલ કરમસદની જે સ્કૂલમાં ભણ્યા હતા, ત્યાંના બાળકો પણ વેશભૂષા કાર્યક્રમમાં જોડાશે. સરદાર પટેલના પરિવારજનો, કેળવણી ક્ષેત્રના અગ્રણીઓ તથા સાધુસંતો પણ પ્રવાસ કરશે.

આ ટ્રેનોના રૂટ પર આવતાં નડિયાદ, વડોદરા, ડભોઇ તેમજ ચાણોદ રેલવે સ્ટેશનો પર પણ ટ્રેનનું સ્વાગત કરાશે. તેમાં મુસાફરી વખતે સંસ્કૃતના જાણકાર પંડિતો નર્મદાષ્ટકમ તથા અન્ય મંત્રોચ્ચારનું પઠન કરશે. આ તમામ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત તેના સંકુલમાં આવેલા જંગલ સફારી અને એકતા નર્સરી તેમજ સાધુસંતોને શૂળપાણેશ્વર મંદિરની મુલાકાતે લઇ જવાશે. આમ આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે.