રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે.પણ નમૂના નંબર ૭ માં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી પડાતા વિવાદ થતા સરકારે એ એન્ટરીઓ રદ કરી હતી.પરંતુ આ કેન્દ્રનો મામલો હોય સરકાર ફરી આ નિયમ લાગુ ના કરે એ માટે બિટીપીએ આંદોલન હજુ ચાલુ રાખ્યું છે. 

ડેડીયાપડા પીઠા ગ્રાઉન્ડમાં ૨૬ જાન્યુઆરીએ એક જાહેર કાર્યક્રમ રાખ્યો છે તો એ કાર્યક્રમ પેહલા નર્મદા જિલ્લા ભાજપે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે.ડેડીયાપાડા સાગબારાના ૩૦૦ થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરતા બિટીપીને મોટો ફટકો પડયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર છે.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ વનમંત્રી મોતીસિંહ વસાવા, જીલ્લા ભાજપા ઉપપ્રમુખ અનિરૂધ્ધસિંહ ગોહીલ અને શંકર વસાવાની ઉપસ્થિતિમાં ડેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમા નર્મદા જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને બિટીપી આગેવાન વનિતા ભાવેશ વસાવા પોતાના ૧૫૦ જેટલા ટેકેદારો સાથે તથા બિટીપોના માજી પ્રમુખ માનસીંગ વસાવા, મંડાળા ગામના સરપંચ નરોત્તમ વસાવા, નવાગામ પાનુડાના સરપંચ ફુલસીંગ વસાવા ઉપરાંત મોહબી, ખોપી, ભુતબેડા, ઝાંક, માલપુર, સેજપુર, ખરચીપાઠા, મોહબી, ખાબજી, ઉમરાણના કોંગ્રેસ સહિત બિટીપીના કાર્યકરો ભાજપામા જાેડાયા હતા.

અગાઉ ભરૂચ જિલ્લાના ૫૦૦ થી વધુ બિટીપીના કાર્યકરો સહિત અન્ય હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.હવે નર્મદા જિલ્લામાં પણ બિટીપીમાં ભંગાણ સર્જાતા રાજકીય ગરમાટો આવી ગયો છે.એક બાજુ ૨૬ જાન્યુઆરીના જાહેર કાર્યક્રમો ઠેર ઠેર યોજાશે.એની સાથે ડેડીયાપાડામાં બિટીપીના જાહેર કાર્યક્રમમાં ઝઘડિયા ધારાસભ્ય છોટુભાઈ વસાવા, ડેડીયાપા પાડા ધારાસભ્ય મહેશભાઈ વસાવાની હાજરી વચ્ચે કાર્યક્રમને લઈને તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.