છૂટાછેડા અને પ્રેમ સંબંધોના કારણે સૌથી વધારે આપઘાત
04, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યૂરોઅ વર્ષ ૨૦૧૯ માટે જાહેર કરેલા 'એક્સિડેન્ટલ ડેથ અને સ્યૂસાઈડ ઈન ઈન્ડિયા'ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ડિવોર્સ અને પ્રેમસંબંધોના કારણે આપઘાત કરવામાં ગુજરાત ટોચ પર છે. ૨૦૧૯માં ગુજરાતમાં ડિવોર્સના કારણે કુલ ૮૪ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં ૫૩ પુરુષો અને ૩૧ મહિલાઓને સમાવેશ થાય છે. ૨૦૧૯માં પ્રેમસંબંધોના કારણે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે આપઘાતના કિસ્સાઓ સામે આવ્યા હતા.

ડિવોર્સના કારણે આપઘાત કરવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા નંબરે છે. જ્યાં ૬૭ લોકોએ જીવનનો અંત આણ્યો હતો. જ્યારે ત્રીજા નંબર પર તમિલનાડુ છે જ્યાં ડિવોર્સના કારણે આપઘાત કર્યો હોય તેવા ૫૯ કિસ્સા સામે આવ્યા હતા. આપઘાતના કિસ્સા મુખ્યત્વે અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવ્યા હતા, કારણ કે શહેરોમાં ૮૪માંથી ૧૦ મોત નોંધાયા હતા. એકંદરે, ૨૯૬ લોકોએ લગ્ન-સંબંધિત સમસ્યાના કારણે જીવન ટૂંકાવ્યું હતું. જેમાંથી ૨૨ લોકોના આપઘાત પાછળનું કારણ લગ્નેત્તર સંબંધો હતા. ગુજરાતીઓ ખૂબ જ સામાજિક હોય છે અને પોતાના પરિવાર સાથે બંધાયેલા હોય છે.

જ્યારે જીવનસાથી અલગ થાય છે ત્યારે અન્ય એકલતા અને હતાશા અનુભવે છે. સામાજિક-સાંસ્કૃતિક કલ્ચર ધરાવતા રાજ્યમાં જ્યારે કોઈ વ્યક્તિ લગ્ન કરે છે જ્યારે તેને/તેણીને હંમેશા દંપતી તરીકે આમંત્રણ આપવામાં આવે છે', તેમ સ્યૂસાઈડ હેલ્પલાઈન ચલાવતા વડોદરાના સાઈકિયાટ્રિસ્ટ ડો.યોગેશ પટેલે જણાવ્યું હતું. ડો.યોગેશ પટેલે કહ્યું કે, 'કેટલાક કિસ્સાઓમાં તેઓ એકલા હોવાથી સમાજ સાથે હળવા-મળવાનું બંધ કરી દે છે. જે તેમને ઉદાસી અથવા દારૂ પીવા તરફ દોરી જાય છે, જે જીવનના અંત તરફ લઈ જઈ શકે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution