નર્મદા-

ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ નર્મદા જિલ્લાના તંત્રને રાહત નહીં મળે. કારણ કે, નર્મદા જિલ્લાની કેવડિયા કોલોની ખાતે વધુ એક રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. ત્યારે 6 માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કોન્ફરન્સમાં ભાગ લઈ શકે તેવી શક્યતા છે. 4, 5 અને 6 માર્ચ સુધી આ કોન્ફરન્સ યોજાશે. કોન્ફરન્સમાં દેશની ત્રણેય પાંખના વડા તેમજ હાલમાં નવનિયુક્ત વડા પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય રક્ષાપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચના દિવસે કેવડિયાની મુલાકાત કરે તેવી શક્યતા છે. હાલમાં કોન્ફરન્સની તૈયારીઓ પુરજોશમાં કેવડિયા ખાતે ચાલી રહી છે. ટેન્ટસીટી 2માં આ કોનફરન્સ યોજાશે, જેની તૈયારીઓ માટે નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. ઉલ્લેખનીય છે કે, મળતી વિગત અનુસાર આ કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી શકે છે. નર્મદા જિલ્લાની કેવડિયાકોલોની ખાતે રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં ત્રણેય પાંખના વડાઓ અને અધિકારીઓ હાજર રહેશે, જેની પૂર્ણાહુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.