19, ઓક્ટોબર 2020
મુંબઇ
અભિનેત્રી પાયલ ઘોષે બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ કર્યો છે. વર્ષ 2014 માં અનુરાગ કશ્યપનો મેસેજ અને દુષ્કર્મ સિવાયની વાતો ઈરફાન સાથે શેર કરી છતાં તે ચુપ હોવાની ટ્વ્ટિથી પાયલે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને આ વિવાદમાં ઢસેડયો છે.
પાયલે ટ્વીટ કરીને કહ્યું હતું, 'મેં ઈરફાન ખાનને એમ નહોતું કહ્યું કે, અનુરાગ કશ્યપે મારી પર દુષ્કર્મ કર્યુ હતુ, પરંતુ તેની સાથે થયેલી વાતચીત અંગે બધું જણાવ્યું હતું. તેને બધી જ ખબર છે પરંતુ તે અત્યારે કંઈ જ બોલતો નથી. તે મારો સારો મિત્ર હોવાનો દાવો કરે છે. અન્ય એક ટ્વીટમાં પાયલે કહ્યું હતું, ઈરફાન પઠાણને ટેગ કરવાનો અર્થ એ નથી કે, મને તેનામાં રસ છે, પરંતુ મેં તેની સાથે દરેક વાતો શેર કરી હતી. રેપવાળી વાત શેર કરી નથી. મને વિશ્વાસ છે કે મેં તેને જે પણ વાત કહી છે, તે બધાને કહેશે.'
પાયલે વર્ષ 2014નો એક કિસ્સો યાદ કરીને કહ્યું હતું, '2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને એક મેસેજ કર્યો હતો. તે ઈચ્છતો હતો કે હું તેને મળવા આવું. તે સમયે ઈરફાન મારા ઘરમાં જ હતો અને તેની સામે જ મેસેજ આવ્યો હતો. જોકે, મેં ઈરફાનને એમ કહ્યું હતું કે હું વિનીત જૈનના ઘરે જાઉં છું, અનુરાગના નહીં. આશા છે કે તેને આ બધું યાદ હશે. જાણું છું કે, તે અને તેના વૃદ્ધ માતા-પિતા શ્રદ્ધામાં માને છે. એટલે મેં જે કંઇ જણાવ્યું હતું તેના વિષે તેઓ કંઇ બોલે તેમ હું ઈચ્છું છું. અમે માત્ર સારા મિત્રો નહીં પણ પારિવારીક મિત્રો છીએ. જોઈએ દોસ્તી કોન-કોન નિભાવે છે !!
પાયલે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે, ઈરફાન પઠાણે ક્યારેય તેની સાથે ખોટો વ્યવહાર કર્યો નથી. જોકે, થોડાં સમય પહેલા એક ડિરેક્ટરે દાવો કર્યો હતો કે, પાયલે ઈરફાન પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. અલબત્ત, હવે પાયલે તે ડિરેક્ટરની વાતોને બકવાસ ગણાવી છે.
મહત્વનું છે કે, પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ કર્યો હતો. પાયલનો આક્ષેપ હતો કે, કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશનમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, ખોટા ઈરાદાને રોકવા તથા મહિલાનું અપમાન કરવાની કલમો હેઠળ કેસ કર્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન અનુરાગે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.