ભુજ

 માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે. તેઓ ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે, પરંતુ તેઓ કોઈને અંગે નિયુક્ત કે આદેશ ન કરી શકે તેવો કોર્ટે હુકમ કર્યો છે. ૨૦૧૦માં પણ પત્રી વિધિ માટે લખપત -દયાપરની કોર્ટમાં પણ સ્વ. પ્રાગમલજી ત્રીજા દ્વારા અપીલ કરાઈ હતી. આ સમગ્ર કેસ ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૯ના રોજ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજા ઓફ કચ્છ નવરાત્રિ દરમ્યાન પતરી વિધિની પૂજા માટે માતાના મઢ ગયેલા તે સમયે ચાચરા કુંડ મધ્યે જતા પગથિયા ચડતી વખતે તકલીફ ઉભી થતાં તેઓ તેવી પરિસ્થિતિમાં બાકીની વિધિ પૂરી કરી શકે તેવી પરિસ્થિતિ ન હોતાં તેમની સાથે રહેલ જુવાનસિંહ હમીરસિંહ જાડેજાને આ વિધિ કરવા માટે જણાવેલ. તે સમયે માતાના મઢના અધ્યક્ષ યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા દ્વારા આ વિધિ કરતા તેમને રોકેલ અને તેથી સૈકાઓથી ચાલી આવતી તે પતરી વિધિ સંપન્ન થયેલ નહીં.દયાપરની કોર્ટ દ્વારા અસમર્થતતામાં આ પતરી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેવું ઠરાવેલ. ત્યારબાદ સ્વ. મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ દ્વારા આ બાબતે નખત્રાણાની કોર્ટમાં યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ દાવો નોંધાવેલ, જે દાવામાં ત્યારબાદ હનુવંતસિંહ મદનસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાેરાવરસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહ જાેરાવરસિંહ જાડેજા પણ પ્રતિવાદી તરીકે પાછળથી દાખલ થયેલા. ત્યારબાદ દયાપરની કોર્ટમાં આ દાવો તબદિલ થયેલ અને દયાપરની કોર્ટ દ્વારા ૬ માર્ચ ૨૦૧૯ના રોજ ચુકાદો આપેલ અને આ ચુકાદા મુજબ સ્વ.મહારાવ પ્રગામલજી ત્રીજા ઓફ કચ્છ સ્વ. રાજવી મહારાવ મદનસિંહજીના મોટા પુત્ર તરીકે કરી શકશે તેવું ઠરાવેલ અને તેમની અનઉપસ્થિતિ કે, અસમર્થતતામાં આ પતરી વિધિ રાજવી કુળના વંશાનુક્રમે આવતી નજીકની વ્યકિત રાજ કુટુંબના મુખ્ય વ્યકિત સાથે રહીને કરી શકશે તેવું ઠરાવેલ તથા વધુમાં આવી વિધિ થાય તે બાબતે યોગેન્દ્રસિંહ ગુરુ કરમશી રાજાબાવા વિરૂધ્ધ મનાઈ હુકમ ફરમાવ્યો છે. સ્વ.મહારાવ પ્રાગમલજી ત્રીજા અવસાન પામતા તેમના વારસ તરીકે મહારાણી પ્રીતિદેવીએ દાખલ થવા અરજી કરી હતી.