જીનેવા-

આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં એકવાર ફરીથી પાડોશી દેશ પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધુ. UNHRC દ્વાર લિસ્ટેડ અને ખૂંખાર આતંકીઓને પેન્શન આપવા અને સેફ હેવન ઉપલબ્ધ કરાવવા બદલ પાકિસ્તાનને ઘેરતા ભારતે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને આતંકવાદને સહાયતા અને પ્રોત્સાહન આપવા બદલ જવાબદાર ઠેરવવામાં આવે. બેઠકમાં પાકિસ્તાનના વકતવ્ય પર જવાબના અધિકારનો ઉપયોગ કરતા ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ પવનકુમાર બાધેએ કહ્યું કે આ દુખની વાત છે કે પાકિસ્તાને એકવાર ફરીથી ભારત વિરુદ્ધ નિરાધાર અને બેજવાબદાર આરોપ લગાવવા માટે આ મંચનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આવું કરીને દેશમાં માનવાધિકારીની દયનીય સ્થિતિથી પરિષદનું ધ્યાન ભટકાવવા માંગે છે. પવનકુમાર બાધેએ ઈમરાન ખાન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓની દુર્દશાને તેમની સતત ઘટતી વસ્તીથી સમજી શકાય છે. ત્યાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન રોજની ઘટના બની ગઈ છે. તેમણે કહ્યું કે આપણે ધાર્મિક લઘુમતી સમુદાયની સગીરાઓના અપહરણ, દુષ્કર્મ, જબરદસ્તીથી ધર્મ પરિવર્તન અને લગ્નના અગણ્ય અહેવાલો જાેયા છે. પાકિસ્તાનમાં દર વર્ષે ધાર્મિક લઘુમતી સમુદાયોની ૧૦૦૦થી વધુ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવે વધુમાં કહ્યું કે ઈશનિંદા કાયદા, જબરદસ્તીથી ધર્મ પરિવર્તન, હિન્દુઓ સહિત લઘુમતીઓનું ઉત્પીડન અને ન્યાયિક હત્યા પાકિસ્તાનમાં સામાન્ય થઈ ગયું છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓના પવિત્ર અને પ્રાચિન સ્થળો પર હુમલા થાય છે અને તોડફોડ કરાય છે. પાકિસ્તાન આ ઘટનાઓને છૂપાવવા માટે ભારત વિરુદ્ધ નિરાધાર અને બેજવાબદાર આરોપો લગાવે છે. બાધેએ પાકિસ્તાનમાં પત્રકારોની સ્થિતિ ઉપર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પત્રકારત્વ મામલે પાકિસ્તાનને દુનિયાના સૌથી જાેખમી દેશોની સૂચિમાં સામેલ થવાનું ગૌરવ હાંસલ છે. અહીં પત્રકારોને ધમકાવવામાં આવે છે. ડરાવવામાં આવે છે. અહેવાલોનું પ્રસારણ કે પ્રકાશન કરવાથી રોકવામાં આવે છે. તેમનું અપહરણ થાય છે અને કેટલાક કેસમાં તો હત્યા પણ કરી દેવાય છે. તેના અનેક ઉદાહરણ આપણી સામે આવેલા છે.