20, જાન્યુઆરી 2021
પાલનપુર-
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે અંદાજીત 300 જેટલાં ખાનગી તબીબો ફરજ બજાવે છે. શહેરના ગુરુનાનક બ્રિજ નીચે આવેલા ડોકટર હાઉસમાં જ 150 જેટલાં તબીબો જ્યારે શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાં 150 એમ કુલ 300 જેટલાં તબીબો દર્દીઓનો ઈલાજ કરે છે. મેડિકલ રૂલ્સ મુજબ બાયોમેડીકલ વેસ્ટને જાહેરમાં ફેંકવાને બદલે તેને બાળીને નાશ કરવાનો હોય છે, છતાં તબીબો લાપરવાહી દાખવી જાહેર રસ્તાઓ પર જયાં ત્યાં વપરાયેલી સિરિન્જ, દવાઓના પેકેટ ,તેમજ ઓપરેશનમાં વપરાયેલો સમાન વગેરે ફેંકી દેતા હોય છે. જે કાયદાકીય રીતે ગંભીર બેદરકારીનો ગુનો બને છે. આવો જ એક કિસ્સો પાલનપુર શહેરનાં ગઠામણ દરવાજા વિસ્તાર નજીકથી સામે આવ્યો છે. અહીં પ્રેક્ટિસ કરતા તબીબોએ બાયો મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકી દીધાનું સામે આવતાં પાલિકાએ 8 તબીબોને કારણ દર્શક નોટીસ પાઠવી એક અઠવાડિયામાં સંતોષકારક જવાબ આપવા લેખિતમાં જણાવાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં અવારનાર તબીબો દ્વારા જાહેરમાં બાયોમેડીકલનો વેસ્ટ ફેંકવામાં આવે છે. પરંતુ તંત્ર માત્ર કારણદર્શક નોટિસ આપી સબ સલામત હૈ ના બણગાં ફૂંકતા હોય છે. ત્યારે તાજેતરમાં પાલનપુર શહેરમાં પણ જાહેરમાર્ગો પર બાયો મેડિકલ વેસ્ટ ફેંકનાર 8 તબીબોને પાલનપુર પાલિકાએ નોટિસ ફટકારી છે.