ગાંધીનગર, ગુજરાત રાજ્યની સ્છથાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે પ્રચારનું રણશિંગુ ફૂંક્યું છે. ભાજપના તમામ ઉમેદવારો ગુરૂવારથી ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી માટે ભાજપે ઘડેલી રણનીતિની માહિતી આપી. પાટિલે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ ૮ હજાર ૪૭૪ બેઠકો પર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.

દરેક બેઠક પર સરેરાશ ૨૦થી વધુ દાવેદારો હતા. પરંતુ ભાજપે ઉમેદવારોની પસંદગીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી છે. તેમજ ઉમેદવારોની પસંદગીમાં મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાટિલે જણાવ્યું કે ભાજપના નવા માપદંડો મુજબ અગાઉ ચૂંટણી લડી ચૂકેલા અને ૬૦ વર્ષથી વધુની વયના નેતાઓને ટિકીટ આપવામાં નથી આવી. પાટિલે જણાવ્યું કે ગુરૂવારે ચૂંટણી પ્રચારના પ્રારંભે ભાજપના તમામ ઉમેદવારો જનકલ્યાણનો સંકલ્પ લેશે. જે બાદ ૧૨ ફેબ્રુઆરીના રોજ ભાજપના તમામ ઉમેદવારો ફોર્મ ભરશે. પાટિલે કહ્યું કે આ વખતે ભાજપ ડોર ટુ ડોર પ્રચાર પર વધુ ભાર મુકશે અને લોકો વચ્ચે જશે.