નડિયાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીના સારાં સ્વસ્થ્ય માટે સ્વામિનારાયણ તીર્થધામ વડતાલમાં સર્વમંગલ યજ્ઞનું આયોજન કરાયું હતું. ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ખેડા જિલ્લા સમાહર્તા આઈ.કે. પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને જનતાના સારાં સ્વાસ્થ્ય માટે સર્વમંગલ યજ્ઞ યોજાયો હતો. આ સંપ્રદાયમાં આ યજ્ઞ ચમત્કારિક ફળ આપનાર માનવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત થયાં બાદ તેનાં સારાં સ્વાસ્થ્ય માટે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચેતનભાઈ રામાણીના માર્ગદર્શન પ્રમાણે ધૂન ભજન યજ્ઞ થઈ રહ્યા છે. વડતાલ મંદિરમાં મહાપૂજા, અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂન તથા સર્વમંગલ યજ્ઞ કરીને મુખ્યમંત્રી તત્કાળ સ્વસ્થ થઈને રાજ્યની સેવામાં જાેડાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, ડો. સંત સ્વામી, શ્રી વલ્લભ સ્વામી વગેરે વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત રહીને પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી સ્વાસ્થ્ય લાભની પ્રાર્થનામાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ,માજી પ્રમુખ મહેશભાઇ પટેલ તથા ભાજપ અગ્રણીઓ પણ જાેડાયાં હતાં.