દ્વારકા, જ્યેષ્ઠાભિષેક ઉત્સવ વિશે દ્વારકાધીશ મંદિરના પૂજારીએ જણાવેલ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક – સ્નાન કરવામાં આવે છે. જેમાંનો એક જ્યેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. સવારે જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શન યોજાય છે. કોરોના મહામારી દરમિયાન મંદિર બંધ હોવાથી ભાવિકો માટે ઓનલાઈનના મધ્યમથી દર્શન શક્ય બન્યા છે. પરંતુ હાલ કોરોના હળવો થયો હોવાથી દ્વારકાધીશ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉત્સવ દર્શનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. વહીવટદાર કચેરી દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો હોવાની માહિતી મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨ જૂને જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની તૈયારીરૂપ જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્ર ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડનું પવિત્ર જલ લઈ જગતમંદિર પહોંચાડવાનું હોય છે.

ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન કરી આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાય છે. સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવે છે. જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવશે.

દ્વારકાધીશ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક ઉત્સવ દર્શનનો કાર્યક્રમ જાહેર..

તા ૨૪ જૂનના મંગલા આરતી સવારે ૬ કલાકે,

જ્યેષ્ઠાભિષેક ખુલ્લા પરદે સ્નાન સવારે ૮ કલાકે

શૃંગાર આરતી સવારે ૧૧ કલાકે બપોરે ૧ વાગ્યે (અનૌસર) મંદિર બંધ..

ઉત્સવ દર્શન સાંજે ૫ઃ૦૦ કલાકે..

જલયાત્રા નાવ મનોરથ ઉત્સવ દર્શન સાંજે ૭ઃ૦૦ કલાકે