વિધર્મીઓ દ્વારા હુમલાની ઘટનાઓનો વિરોધ - કડક કાર્યવાહી કરવાની માગ
09, ઓક્ટોબર 2020

વડોદરા -

શહેરમાં છેલ્લાં એક મહિનાથી વિધર્મીઓ દ્વારા હિન્દુઓ પર જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આજવા રોડ એકતાનગરમાં નજીવા ઝઘડામાં વિધર્મી ભેગા થઈ જિજ્ઞેશ પવાર નામના હિન્દુને હથિયારથી માથામાં ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેનું સારવાર વેળા મોત નીપજ્યું હતું. એકતાનગરમાં હુમલાખોરોએ ગેરકાયદેસર દબાણ કરી મકાનો ઊભા કરેલ છે જે તંત્ર દ્વારા તાત્કાલિક તોડી પાડવા માગ કરી છે.

આશરે બે દિવસ પહેલાં રિક્ષાની નજીવી બાબતે બોલાચાલી થતાં વિધર્મી ઈસમ નામે સરફરાજ મયુદ્દીન બચારવાલાએ હાર્દિક ભરવાડ નામના એક હિન્દુ યુવક પર ગળા પર ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો, જેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કાસમઆલા કબ્રસ્તાન કારેલીબાગ પાસે હિન્દુ પરિવારના મકાન ખાલી કરાવવા ધમકાવી વૃદ્ધા કાશીબેન વિઠ્ઠલભાઈ પરમારને સલીમ નામના ઈસમે ચપ્પુ મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે ગોરવા વિસ્તારમાં એક નાના ઘાસચારા બાબતે નજીવી બોલાચાલીમાં વિધર્મી માથાભારે ઈસમોએ નિર્દોષ હિન્દુ યુવક પર હથિયારોથી મોતને ઘાટ ઉતાર્યો હતો. છેલ્લા એક માસમાં શહેરમાં વિધર્મી અસામાજિક તત્ત્વો દ્વારા હિન્દુઓ પર જીવલેણ હુમલાઓ થઈ રહેલ છે. તંત્ર દ્વારા આવી માનસિકતા ધરાવતા માથભારે ઈસમો સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution