રાજકોટ-

રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે. રાજકોટના રાજવી પરિવારમાં ૧૫૦૦ કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મિલકત વહેંચણી મામલે છેલ્લા એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે. આ કાયદાકીય લડત પણ હવે મહત્વપૂર્ણ તબક્કા ઉપર આવી પહોંચી છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. આ પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે અને ચુકાદો આવવા પર છે. જ્યારે સિવિલ કોર્ટમાં આગામી તારીખ ૩૧ ઓગસ્ટની મુદ્દત પડી છે. જેમાં મહત્વપૂર્ણ સુનાવણી થઇ શકે તેમ છે. સામે રાજસ્થાનનાં પુષ્કરમાં પરણેલા આ રાજકુમારીનું કહેવું છે કે, પિતાનાં અવસાન બાદ પોતે સહ પરિવાર માતાને મળવા રાજકોટ આવ્યા ત્યારે ભાઇએ આશાપુરા મંદિરના રખવાળમાં વારસોની સહીની જરૂર ન પડે એવું બહાનું ધરીને જે કાગળોમાં સહી કરાવી એમાં રિલીઝ ડીડ પણ બનાવડાવી લીધું છે.

વાસ્તવમાં મિલકતોમાં તમામ વારસોનાં નામની નોંધ પડી જાય પછી જ રિલીઝ ડીડ થઇ શકે. જ્યારે આમાં તેમ નથી બન્યું અને રેવન્યુ રેકોર્ડમાંની એ નોંધ વિશે કલમ ૧૩૫(ડી) મુજબ નોટિસ મળી ત્યારે જાણ થતાં વાંધા અરજી કરવામાં આવી હતી. આવા એક કેસમાં મામલતદારે નામ રદ કરતી નોંધ રદબાતલ ઠરાવી છે. અન્ય કેસમાં પ્રાંત અધિકારી સમક્ષ અપીલ થઇ છે. રાજકુમારીએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. ૩૧ ઓગષ્ટે તેમાં આગળની સુનાવણી થશે. તારીખ ૬ જુલાઈ ૨૦૧૩ના રોજ મનોહરસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજાનાં નોટરાઇઝ્‌ડ વીલમાં ધર્મપત્ની માનકુમારી દેવીને પેલેસમાં ચોક્કસ માર્કિંગવાળો ભાગ, દ્વારકા સ્થિત મકાન (દ્વારકેશ ભુવન) અને રૂપિયા અઢી કરોડ, પુત્રીઓ શાંતિદેવી જાડેજા, અંબાલિકાદેવી બુંદેલા અને ઉમાદેવી પરિહારને રૂપિયા દોઢ-દોઢ કરોડ, પૌત્ર જયદીપસિંહને મુંબઇ સ્થિત બે ફ્લેટ (નરેન્દ્ર ભુવન), પોતાના ૧૩ સહાયકોને કુલ રૂપિયા ૩૦.૫૦ લાખ તેમજ બાકીની તમામ સ્થાવર-જંગમ મિલકત પુત્ર માંધાતાસિંહના નામે કરવામાં આવી હતી.