દિલ્હી/ભૂવનેશ્વર-

ઓડિશામાં પુરી ઉપરાંત અન્ય સ્થાનો પર જગન્નાથ યાત્રાની પરવાનગી આપવા માટે સુપ્રિમ કોર્ટે ઈનકાર કર્યો છે. સીજેઆઇ એનવી રમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટને આશા છે કે ભગવાન આવતા વર્ષે યાત્રાની પરવાનગી આપશે પરંતુ હાલનો સમય તેના માટે નથી. કોવિડના કારણે પુરી સુધી જ રથયાત્રાને સીમિત કરવા માટે ઓડિશા સરકારના આદેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

હકીકતે ઓડિશા સરકારે પુરી જગન્નાથ રથ યાત્રાને છોડીને આખા ઓડિશામાં મંદિરોમાં રથયાત્રા ઉત્સવ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. ૨૩ જૂન, ૨૦૨૧ની ઓડીશા હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ એક અપીલ કરવામાં આવી હતી જેમાં રાજ્યના ર્નિણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. વકીલ વિષ્ણુ શંકર જૈનના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ઓડિશા સરકારના એસઆરસીના કાર્યાલય દ્વારા જાહેર એક આદેશને પડકાર આપવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે રથયાત્રા ગયા વર્ષની જેમ જ યોજવામાં આવશે. અરજીમાં એવું તર્ક આપવામાં આવ્યું હતું કે પુરીની તુલનામાં અમુક વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે. માટે પુરીના બહાર આવા વિસ્તારોમાં રથયાત્રા યોજવાની પરવાનગી આપવામાં આવે. આ અરજી પર કોર્ટે જણાવ્યું કે જાે પૂજા જ કરવી છે તો ઘરે રહીને કરી શકાય.