દિલ્હી-

કોરોના વાઇરસનો બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. દિવસેને દિવસે મોતના આંકડામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.95 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 2023 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાને કારણે 2 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ તીવ્ર વધારો થયો છે. આ દરમિયાન, 24 કલાકમાં કોરોનાના 2,95,041 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે, મહામારીને લીધે મૃત્યુ પામેલા સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 1,82,570 થઈ છે. જ્યારે, અત્યાર સુધીમાં કોરોનાગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,56,09,004 થઈ ગઈ છે. દેશમાં હાલ, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 21,50,119 પર પહોંચી છે. આંકડા મુજબ કોવિડ-19થી રિકવર થવાનો રેટ સતત ઘટી રહ્યો છે. જે 85 ટકા પર પહોંચ્યો છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર 1.2 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે.