રાજકોટ-

જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરાયું છે. આ માટે અગાઉ કરવાની થતી નોંધણી પ્રક્રિયા માટે ગ્રામ્ય કક્ષાએ વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફતે નોંધણી કરાવવાની રહે છે. આ ઉપરાંત મગફળીની ખરીદી માટે જિલ્લામાં 8 એ.પી.એમ.સી ખાતે 11 કેન્દ્રો નક્કી કરાયા છે.

જિલ્લામાં લોધીકા અને પડધરી ખાતે એ.પી.એમ.સી સેન્ટર ન હોવાથી આ તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી રાજકોટ જુની એ.પી.એમ.સી. ખાતેથી તેમજ કોટડાસાંગાણી તાલુકાના ખેડૂતોની મગફળીની ખરીદી ગોંડલ એમ.પી.એમ.સી. ખાતે કરવામાં આવશે. આ તાલુકાના ખેડૂતોએ તેમની નોંધણી પણ ત્યાં જ કરાવવાની રહેશે.આ ઉપરાંત રાજકોટ ખાતે જુની એમ.પી.એમ.સી, ગોંડલ નવી એમ.પી.એમ.સી, જેતપુર એમ.પી.એમ.સી, ધોરાજી એમ.પી.એમ.સી, ઉપલેટા એમ.પી.એમ.સી, જામકંડોરણા એમ.પી.એમ.સી, જસદણ એમ.પી.એમ.સી, વિંછીયા એમ.પી.એમ.સી ખાતે ખરીદ કેન્દ્રો નક્કી કરાયા છે. મગફળી ટેકાના ભાવે વેંચાણ કરવા ઇચ્છતા ખેડૂતોની નોંધણી પ્રક્રિયા 1 ઓકટોબરથી શરૂ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા અન્વયે ફરીયાદ નિવારણ માટે જિલ્લા કક્ષાએ નાગરીક પ્રુરવઠા નિગમ લી.ની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે.