અમદાવાદ-

કોરોના કાળમાં આર્થિક સહાય મુદ્દે રિક્ષા ચાલકોએ હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન કરી છે. અનલૉક બાદ પણ કોરોના બીમારીના ભયના કારણે પેસેન્જર ઓછા મળતા હતાં. જેનાં લીધે રિક્ષા ચાલકોએ સહાય મેળવવા અરજી કરી છે. ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન અને અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષા યુનિયને અરજીમાં હાઈકોર્ટે આપેલા નિર્દેશોનું રાજ્ય સરકાર દ્વારા પાલન ન કરવાનો આક્ષેપ મૂકયો છે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં રજૂઆત કરાઇ હતી કે હાઈકોર્ટે ઓટો રિક્ષા ચાલકોને કોરોનાના લોકડાઉનથી થયેલા નુકસાન પેટે વળતર આપવા બાબતે કરેલા હુકમનો ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. અત્યાર સુધીમાં આર્ત્મનિભર સહાય યોજના હેઠળ ગુજરાતના સાડા આઠ લાખ રિક્ષા ચાલકોમાંથી ફક્ત ૮૨૦ રિક્ષા ડ્રાઇવરોને લોન આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે અગાઉ આપેલા નિર્દેશમાં રાજ્ય સરકારને આર્ત્મનિભર લોન યોજનાની પ્રક્રિયા વધુ સરળ કરવાનો આદેશ કર્યો હતો. જેના લીધે કોરોના મહામારીથી અસરગ્રસ્ત લોકોને ફરીથી પોતાના વ્યવસાયને પ્રસ્થાપિત કરવામાં મદદ મળે. આર્ત્મનિભર લોન યોજના હેઠળ સરકારની કોરોનામાં લૉકડાઉનથી અસરગ્રસ્ત થયેલા વ્યવસાયને ફરીથી પાટા પર લાવવા ૧ લાખ સુધીની લોન આપવાની યોજના છે.