ગાંધીનગર

ગુજરાતમાં ૭મી જૂનથી એટલે સોમવારથી તમામ પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીનો અભ્યાસ નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી ઓનલાઇન જ રહેશે. આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી ૧૦૦ ટકા ફરજીયાત રહેશે. કોરોના વાયરસ મહામારીને કારણે ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ ધોરણ ૧૧ની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ શકે છે. કારણ કે આ અંગેની પ્રવેશ પ્રક્રિયાની હજી સુધી કોઇ ગાઇડલાઇન આપવામાં આવી નથી.

આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે, અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો ૧૮મી જૂન સુધીમાં વિદ્યાર્થીઓને મળી જાય તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. પાઠ્યપુસ્તકો વિતરણ કરવા માટે વિદ્યાર્થીઓને એકત્ર કરવા નહીં, તેના માટે વિદ્યાર્થીઓને ઘરેબેઠા પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા શાળાઓએ કરવાની રહેશે. ધોરણ-૩થી ૫ માટેની સાહિત્ય સામગ્રી શિક્ષા અભિયાન દ્વારા ધોરણ-૬થી ૮ માટેનું સાહિત્ય ય્ઝ્રઈઇ્‌ દ્વારા અને ધોરણ-૧૦થી ૧૨નું સાહિત્ય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોમાં પહોંચાડવાનું રહેશે. આ સાથે ધોરણ-૧થી ૯માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા પણ શરૂ થશે.

વિદ્યાર્થીઓને પુસ્તકો ઘરે જ મળી જાય તેવી વ્યવસ્થા શાળાએ કરવાની રહેશે. કોઇપણ વિદ્યાર્થી કે વાલીઓને શાળામાં બોલાવવા નહીં તેમ જણાવવામાં આવ્યું છે.

આવતી કાલથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરુ થશે. છતાં ધોરણ ૧૦ ના માસ પ્રમોશન મેળવેલ ૮.૫૩ લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની હજી કોઇ ગાઇડલાઇન આવી નથી. જેના કારણે ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અને શિક્ષણકાર્યમાં વિલંબ થઈ શકે છે.

સરકારે આ માટે રચેલી તજજ્ઞોની મીટિંગ માત્ર એક જ વખત યોજાઈ છે. ત્યારે આગામી સપ્તાહમાં મળનારી આ તજજ્ઞોની બેઠકમાં પરિણામને લઈ પોલીસી જાહેર કરવામાં આવશે.