ગાંધીનગર-

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 10:30 કલાકે રાજ્યની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે. જેમ કે, આગામી દિવસોમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે. તે બાબતે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે આ ઉપરાંત ટૂંક જ સમયમાં તમામ કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાનો ગુજરાત પ્રવાસે જવાના છે. તે બાબતે પણ ખાસ આયોજનની વાત કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મગફળીની ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે અને લાભપાંચમથી મગફળીની ખરીદીની શરૂઆત થશે, ત્યારે નવી સરકાર અને નવા પ્રધાનો હોવાથી સમગ્ર વ્યવસ્થા કઈ રીતે ગોઠવવામાં આવી છે. જ્યારે અત્યારે વરસાદી વાતાવરણ છે ત્યારે ખરીદાયેલી મગફળી ભીંજાય ન જાય તે માટે કયા પ્રકારની અનેક એવી વ્યવસ્થા છે સાથે જ રાજ્ય સરકારના અને અન્ય કેટલા ગોડાઉન છે. તે તમામ પ્રકારની માહિતીની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

મહત્વની વાત કરવામાં આવે તો 15માં નાણાપંચના પૈસા રાજ્યની ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા છે પરંતુ તલાટી અને ગ્રામ પંચાયતના સભ્યો તે પૈસાનો ઉપયોગ કરી શકતા નથી અને જે તે બેંક એકાઉન્ટમાં વપરાયેલાની ફરિયાદ રાજ્ય સરકાર સુધી પહોંચી છે. જેમાં સરકાર દ્વારા આપવામાં આવતા કી સરપંચને આપવામાં આવતી હોય છે અને એક કી તલાટીને આપવામાં આવતી હોય છે પરંતુ જો બંને મેચ ન થાય તો કોઈપણ પૈસા ઉપાડી શકતો નથી. જેથી આવી અનેક સમસ્યાઓ અનેક ગ્રામ પંચાયતમાં સામે આવી છે ત્યારે આ નો ઉકેલ માટે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના 15 દિવસ પૂર્ણ થયા છે, ત્યારે પક્ષ તરફથી કોઈપણ પ્રધાનને વિધાનસભા ચોમાસા સત્રના પહેલા ગાંધીનગરના છોડવાની સૂચના આપવામાં આવી હતી, ત્યારે હવે વિધાનસભા ચોમાસુ સત્ર પૂર્ણ થયું છે ત્યારે 1 ઓક્ટોબરથી પાંચ ઓક્ટોબર અને 9થી 11 ઓક્ટોબર એમ બે તબક્કામાં રાજ્યના મુખ્યપ્રધાન સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન અને ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આયોજનમાં લોકોની અપેક્ષાઓ લોકોની ફરિયાદ અને લોકોને પડતી મુશ્કેલીઓને નિવારણ તથા લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવશે.