સુરત-

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલની ચૂંટણીનું રવિવારના દિવસે પરિણામ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ સામસામે ચૂંટણી લડી રહ્યાં હતાં. અનેક આક્ષેપ વચ્ચે સુમુલની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપના બે જૂથ રાજેશ પાઠક જૂથ (સત્તાધારી પેનલ) અને માનસિંગ જૂથ (સહકાર પેનલ) વચ્ચે જંગ છેડાયો હતો. આ ચૂંટણીમાં બન્ને પક્ષોને 8-8 બેઠક મળતા પરિણામ ટાઈ રહ્યું હતું.


આ બેઠકની જો વાત કરવામાં આવે તો ઓલપાડ, ઉમરપાડા અને પલસાણા બેઠક બિનહરીફ રહી હતી. ઓલપાડ બેઠક પર હાલમાં જ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન જયેશ પટેલ (સુમુલ) બિનહરીફ રહ્યાં હતા, તો ઉમરપાડા બેઠક પર છેલ્લી ટર્મમાં સુમુલ ડેરીના ઉપપ્રમુખ રહી ચુકેલા રીતેશ વસાવા અને પલસાણા બેઠક પર બળવંત સિંહ સોલંકી બિન હરીફ રીતે ચૂંટાઈ આવ્યા હતા. આ ત્રણેય કેન્ડીડેટ માનસિંગ જૂથના હતા. સુમુલની 16 બેઠકમાંથી 3 બેઠકો બિન હરીફ રહી હતી. બે જૂથ વચ્ચેની આ જંગમાં પરિણામ ટાઈ રહ્યું હતું. હવે પાર્ટી લેવલે મેન્ડેટ આપી ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ નક્કી કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે, પાર્ટી કોને સુમુલની ગાદી પર બેસાડી તાજપોશી કરશે તે જોવું રહ્યું.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને અતિ મહત્વની સુમુલ ડેરીની ચૂંટણીના આજે રોચક પરિણામ જાહેર થતા અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. રાજેશ પાઠકની સત્તાધારી પેનલ અને માનસિંગની સહકાર પેનલ બન્નેને 8-8 બેઠકો મળતા ચૂંટણી ટાઈ રહી હતી. હવે પાર્ટી હાઈ લેવલે મેન્ડેટ આપી ડેરીના પ્રમુખ, ઉપપ્રમુખ નક્કી કરવામાં આવશે.