આણંદ : છેલ્લાં બે દિવસથી આણંદ શહેર સહિત ચરોતરમાં ઠંડીનું જાેર વધી ગયું છે. તાપમાન ૧૩.૫ ડિગ્રી સુધી ગગડી ગયું છે. આવામાં કોરોના સંક્રમણનું જાેખમ વધવાની શક્યતા રહેલી છે. હવે ચૂક નહીં ચાલે. આ માહોલમાં સરકારની ગાઇડલાઇન્સનો ચૂસ્તપણે અમલ કરવો જરૂરી બની ગયો છે. વધતી ઠંડીની સાથે ગાઇડલાઇન્સનો બંગ કરવામાં આવશે તો આગામી સમયમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવે તેવી ભીતી છે. આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. છેલ્લાં બે દિવસથી આણંદમાં ફરી ડબલ ફિગરમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. પરિણામે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, છેલ્લાં બે દિવસથી ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આજે ચરોતરમાં તાપમાન ૧૩.૫ ડિગ્રી નોંદાયું હતું. એ સાથે જ કોરોનાના કેસો પણ વધ્યા છે. બુધવારે ૨૦ અને ગુરુવારે ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. એ પહેલાં સરેરાશ પોઝિટિવ કેસનો આંકડો ડબલ ફિગરથી સિંગલ ડિજિટમાં આવી ગયો હતો. આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૨૧૧૧ પર પહોંચી ગયો છે, જેમાંથી ૨૦૦૬ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલમાં આણંદ જિલ્લામાં કોરોનાના ૮૮ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૮ની હાલત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું, જ્યારે ૧૦ને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે.

જિલ્લામાં કોરોના રિકવરી ખાસ્સો ઉપર હોવાથી એક રાહતના સમાચાર છે. બીજી તરફ કોરોનાની વેક્સિન માટેની કામગીરી પણ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. કોરોના સંક્રમિતની સાથે સાથે અન્ય બીમારીઓને કારણે મોતનો આંકડો ૨૫૦ને પાર કરી ગયો છે. શિયાળામાં ઠંડીને કારણે મોટી ઉંમરના લોકોમાં કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. વૃદ્ધોને કોરોનાતી બચાવવા માટે પરિવારની દરેક વ્યક્તિએ કોરોનાની ગાઇડલાઇન્સનો ચૂસ્તપણે અમલ કરવો જાેઈએ, તેવી અપીલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.