સુરેન્દ્રનગર-

હિન્દુ શાસ્ત્રોમાં ભારતના અનેક સ્થળે ઘન છુપાવ્યાનો ઉલ્લેખ કરાયો છે. જાેકે, તે વાત સત્ય છે કે અસત્ય તે કોઈ જાણતુ નથી. પણ આજે પણ કેટલાક લોકો આ ઘન શોધવાની લાલચ ધરાવે છે. ત્યારે સુરેન્દ્રનગરના જામવાડી ગામમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ગામમાં આવેલા ૧૨૦૦ વર્ષ જૂના શિવલિંગમાં ખજાનો છુપાયો હોવાની લાલચમાં તેને ખોદી નંખાયું છે. અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલા ખોદકામથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. થાનથી ૫ કિમી દૂર આવેલા જામવાડી ગામની ભાગોળે મુનની દેવળ તરીકે ઓળખાતું પ્રખ્યાત શિવમંદિર આવેલું છે. આ શિવમંદિર ૧૨૦૦થી વધુ વર્ષ પ્રાચીન છે. પુરાતત્વથી રક્ષિત જાહેર કરાયું છે.

આ મંદિરમાં બહુ જ ઓછી અવરજવર હોય છે. ત્યારે મંદિરની બહારની બાજુમાં પોઠિયાની પાસે લગભગ ૫ થી ૬ ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો છે. મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરવામાં આવ્યુ હોવાની હાલ શંકા સેવાઇ રહી છે. ત્યારે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા જ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. મામલતદાર અને પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે ગયા હતા. તેમજ થાન પોલીસની ટીમે પણ આવીને ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. જાેકે, ખોદકામ કોણે કર્યું અને કયા સમયે કર્યુ તે વિશે હજી માહિતી મળી નથી. રાજા સિધ્ધરાજના માતા મીનળદેવી યાત્રા પર નીકળ્યા હતા ત્યારે તેમણે અનેક શિવમંદિર, વાવો બંધાવેલી હોવાના પુરાવા ઇતિહાસમાં છે. ત્યારે તેમણે આ મંદિર બંધાવ્યું હોવાનું કહેવામાં આવે છે. પુરાતત્વ દ્વારા આ મંદિર રક્ષિત જાહેર કરાયું છે. ગુજરાતનું આ મંદિર પણ ગુપ્ત ધનની લોકવાયકાથી અજાણ્યુ નથી. આદિકાળથી મંદિરના શિવલીંગ કે પોઠિયાની નીચે ગુપ્ત ધન હોવાની વાતો ચાલે છે. મુઘલોના સમયમાં શિવમંદિરો તોડીને ગુપ્ત ધનની લૂંટ ચલાવી હોવાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે આજે પણ ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરાયાનું મનાય છે.