અમદાવાદ-

દરિયાપુરમાં રહેતી 40 વર્ષીય મહિલાને તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી શહેરની અલગ અલગ હોટલોમાં લઈ જઈ અનેક વખત દુષ્કર્મ ગુજારી બાદમાં લગ્ન કર્યા ન હતા. જેથી મહિલાએ તેના પ્રેમીના વિરુદ્ધમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથધરી છે.

દરિયાપુર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય બંસરી (ઓળખાણ છુપાવવા નામ બદલેલ છે) તેની માતા અને બહેન સાથે રહે છે. પંદર વર્ષ પહેલા રૂપાલગામે રહેતા અશ્વિન પંચાલ સાથે બંસરીનો સંપર્ક થયો હતો. બાદમાં બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો. બીજી બાજુ 2007માં અશ્વિને તેમના જ સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. જેથી બંસરીએ અશ્વિન સાથેના સબંધો તોડી નાખવાનું જણાવ્યું હતું. જો કે આ સમયે અશ્વિને હું મારી પત્નીને છુટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી લઈશ તેવો ભરોસો આપ્યો હતો. જેથી બંસરી અશ્વિનની વાતોમાં આવી ગઈ હતી. બાદમાં અશ્વિન બંસરીને અવાર નવાર શહેરની અલગ અલગ હોટલોમાં લઈ જતો અને તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો. દિવસો પસાર થવા લાગ્યા અવાર નવાર બંસરી અશ્વિનને તેની સાથે લગ્ન કરી લેવાની વાત કરે ત્યારે ભોળવી લેતો અને ખોટો ભરોસો આપતો હતો. જેથી બંસરી તેના પર વિશ્વાસ રાખીને તેની સાથે ફરતી હતી. અનેક વાર બંસરી સાથે અશ્વિને દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં એક દિવસે બંસરીએ અશ્વિનને લગ્ન માટે વાત કરી ત્યારે અશ્વિને તેને મારી પત્નીને છુટાછેડા આપી જ દઈશ તેમ જણાવીને ભરોસો આપવા લાગ્યો હતો. જે કે દિવસો વિતતા ગયા તેમ છતા અશ્વિને બંસરી સાથે લગ્ન ન કર્યા ન હતા. જેથી અશ્વિન અવાર નવાર લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હોવાની જાણ થતા બંસરીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.