દિલ્હી-

દેશમાં કોરોનાની સતત વણસી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા પરનો પ્રતિબંધ આગામી 31 મે સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. જોકે પસંદગીના કેટલાંક રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય શિડ્યુલ્ડ ફ્લાઈટ્સને કેસ આધારિત મંજૂરી આપવામાં આવશે તેમ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ) દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવાયું છે. કોરોના વાયરસની મહામારીને પગલે ભારતમાં 23 માર્ચ, 20 20થી જ શિડ્યુલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર વિમાની સેવાઓ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. જોકે વંદે ભારત મિશન હેઠળ કેટલાંક દેશો સાથે એર બબલની કરાયેલી સમજૂતી અંતર્ગત સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને મંજૂરી અપાઈ છે. ભારતે વિશ્વના 28 દેશો સાથે એર બબલ સમજૂતી કરી છે. ડીજીસીએ વધુમાં જણાવ્યું હતું કે હવાઈ સેવા પરનો આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન અને વિમાનોને લાગુ નહીં પડે.