અરવલ્લી/શામળાજી : શામળાજી પાસેથી વેણપુર ખાતે આવેલ ગોશાળાની પાછળ ડુંગર આવેલો છે. શનિવારના રોજ સવારે ગામના લોકો ડુંગર ઉપર બકરાં ગાયો ચરાવવા ગયાં હતાં ત્યારે તેમને એક યુવાનની લાશ જોતાં નીચે આવીને ગ્રામજનોને જાણ કરી હતી. ગામના સરપંચે શામળાજી પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી હતી. આ યુવક કોણ છે તે માટે તપાસ હાથ ધરી ત્યારે નજીકની હોટલ પાસેથી ગ્રીસનું કામ કરતા ચંદ્રેશ બાબર નટ (રહે ભિલોડાવાડા) એ આ લાશ જોતાં જ જણાવ્યું હતું કે આ તો મારો દિકરો રાહુલ છે કે જે બે દિવસ પહેલા મને મળવા માટે આવ્યો હતો. તે બે દિવસથી ઘરે ન પહોંચતા અમે સગાં સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. શનિવારના રોજ સવારે વેણપુર ગામના લોકો ડુંગર ઉપર જતા હતા. તેથી હું પણ ડુંગર ઉપર ગયો હતો.ત્યાં જઈને જોયું તો આ લાશ મારા દિકરા રાહુલ ચંદ્ર નટ ઉ વર્ષ ૧૭ને ગળામાં ટાયરની ટ્યુબ વિટાળેલ હાલતમાં પડી હતી, તેવું ગ્રામજનોનું કહેવું હતું. શામળાજી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે શામળાજી સીએસસી ખાતે મોકલી આપી હતી.વધુ તપાસ શામળાજી પીએસઆઇ દેસાઈ ચલાવી રહ્યા છે.