ગાંધીનગર-

વાહ...મુખ્યમંત્રી નવા,મંત્રીમંડળ પણ નવું,યુવાનો તક અપાઇ તો નવાઇ નહીં,આજે ૪ વાગ્યા પછી ભુપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ શપથ લેશે.સમાચાર મુજબ  ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવમાં આવતા આજે શપથ વિધી યોજાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા બાદ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 16 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાદ રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, એટલે કે આજે સાંજ સુધીમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓનાં નામ જાહેર થશે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તરપ્રદેશથી ગુજરાત આવવાના છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારમાં કાર્યરત રહેલા પ્રધાનો પણ ભુપેન્દ્ર પટેલ સરકારમાં પણ જોવા મળશે. પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા, આર.સી.ફળદુ, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર, પરસોત્તમ સોલંકી, અને ઈશ્વર પરમાર જેવા મંત્રીઓને યથાવત રાખવામાં આવે તેવી પણ અટકળો વહેતી થઇ છે.

નવા ચહેરાની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરા તરીકે ઋષીકેશ પટેલ, જે.વી. કાકડિયા, નીમાબેન આચાર્ય, હર્ષ સંઘવી અથવા તો સંગીતા પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ એવા રાજેન્દ્ર ત્રિવેદી, ભાવનગરથી જીતુ વાઘાણી, આત્મારામ પરમાર, પ્રદિપસિંહ જાડેજા નવા ચહેરા તરીકે કેબિનેટ કક્ષાના પ્રધાનોમાં સ્થાન મેળવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. નીતિન પટેલના સ્થાને ઋષિકેશ પટેલ કે જે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને સ્થાન આપવામાં આવશે.