રાજકોટ-

રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. આ સેન્ટરને શનિવારે ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્્યું હતું. રાજકોટના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સેન્ટરમાં ૫ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ છે. ૫ સ્ટાર હોટલમાં હોય તેવા બેડ, સોફા, ખુરશીઓ, ટીવી, ટેલિફોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના રોગ સામે જીત મેળવવા દરેક વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે.

વૈશ્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયું છે કે, કોરોના જેવી મહામારીમાં યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવી ભારતીય પરંપરા-પદ્ધતિ ખૂબ જ સફળ નીવડી છે. કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યારે આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, દર્દી પહેલા અહીં આવશે અને દાખલ થશે. કોરોના દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવે છે તેમ અહીં હોસ્પિટલ નથી પણ સારા વાતાવરણમાં રહેવા માટેની વ્યવસ્થા માટેનું આઈસોલેશન સેન્ટર છે.

સામાન્ય દર્દી આવશે તેનું પહેલા ચેકઅપ થશે. કોરોના પોઝિટિવ હશે તેને દાખલ કરવામાં આવશે. એક રૂમમમાં બે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂમની અંદર જ દર્દીને સવારનો નાસ્તો, બપોર અને સાંજનું ભોજન પહોંચી જશે. દિવસ દરમિયાનની બધી આયુર્વેદિક દવાઓ, ઉકાળા આપવામાં આવશે. યોગના ટીચર આવશે અને દર્દીઓને યોગ કરાવશે. આ સિવાય મેન્ટલ કાઉન્સિલિંગ, પ્રાણાયામ કરવામાં આવશે. આ ઉપરાંત આયુર્વેદના નિષ્ણાંત ડોક્ટર દર્દીને ટીપ્સ આપશે. ડોક્ટર કેવી રીતે હળવી શૈલીમાં રહેવું તેવી ટીપ્સ આપશે. સ્પેશિયલ રૂમ માટે સાડા ચાર હજાર રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી દર્દીને નેગેટિવ રિપોર્ટ ન આવે ત્યાં સુધી અહીં રહેવા દેવામાં આવશે.