માત્ર કર્મકાંડી પૂજારીઓ જ નહિ પરંતુ તમામ સંપ્રદાયના ધાર્મિક પૂજારીઓને સહાય કરવાની ઉઠી માગ
25, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

કોરોના મહામારીને લીધે જારી કરાયેલા લોકડાઉનના સમયમાં ધાર્મિક સ્થળ બંધ હોવાથી કર્મકાંડી બ્રાહ્મણ પૂજારીઓ હાલ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. તો બીજ બાજુ માઈનોરિટી કોર્ડીનેશન કમિટિ દ્વારા મુખ્ય પ્રધાન ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના અગ્ર સચિવને પત્ર લખી માત્ર કર્મકાંડી બ્રાહ્મણ પૂજારી જ નહિ પરંતુ તમામ ધર્મના ધર્મગુરુઓને નાણાકીય સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કર્મકાંડી બ્રાહ્મણ પૂજારીઓની માગને ધ્યાને રાખી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે લોકડાઉનમાં કેટલા મંદિર બંધ રહ્યા અને કેટલા પૂજારીઓને તેનાથી અસર થઈ છે તેની વિગત મેળવવાનો કલેક્ટરોને આદેશ કર્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સામે પહેલા પણ પ્રશ્નો થયા છે.


ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે બોર્ડ દ્વારા માત્ર મંદિરોના વિકાસ માટે જ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને અન્ય કોઈ ધર્મના ધાર્મિક સ્થળ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. જ્યારે આ કેસના જવાબમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું અને તેમાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડ તમામ ધર્મને સમાન માને છે અને કોઈપણ પ્રકારનો ભેદભાવ કરતું નથી.મહત્વનું છે કે આ મામલે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદિન શેખ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણોની સાથે તમામ ધર્મોના ગુરૂઓને વળતર આપવાની મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution