સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે ખેડૂતોની સભા યોજાઈ હતી. ખેડૂતોએ વિવિધ પ્રશ્નો બાબતે એક ખાટલા બેઠક કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના કીસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને લડત આપશે. ખેડૂતોએ પણ હુંકાર કર્યો હતો કે, હવે કોઈ પણ સંજાેગોમાં નર્મદાના નીર લઈને જ ઝંપીશું.

રાત્રી સભામાં ખેડૂતોએ ખાટલા બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોના પ્રશ્નો બાબતે લડત આપવા આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે તેમ આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. હાલ ખેડૂતોને મોટા પ્રશ્નો નર્મદાનાં નીર, વિજ પુરવઠો અને જમીન માપણીમાં ગેરરીતિઓ મુખ્ય છે. તે માટે આગામી સમયમાં લડત આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ખેડૂતો અને આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. રાણીપાટ ગામે આપના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા , સુરેન્દ્રનગર જિલ્લા કીસાન સંગઠન પ્રમુખ અશોક મકવાણા, ગણપત કાવર, કીશોર સોળમીયા સહિતના આગેવાનોએ હાજરી આપી ખેડૂતોને સંબોધન કર્યું હતું. જેમાં આજુબાજુના ગામોમાંથી ખેડૂતોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.