સુરત-

શહેરમાં એક ખાસ પુસ્તક લખવામાં આવી છે. આ પુસ્તક હસ્તલિખિત અને હસ્તચિત્રિત છે. 90 દિવસ જેટલા સમયગાળામાં તૈયાર કરાયું છે. કોરોના કાળમાં અભૂતપૂર્વ સેવા આપનાર 80 જેટલા કોરોના વોરિયર્સની સત્ય ઘટનાઓને આવરી લેવાઈ છે. અનસીન કોરોના વોરિયર્સની આ હસ્તલિખિત પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવશે. જ્યારે પુસ્તકની સ્કેન કોપી દરેક કોરોના વોરીયર્સને વિનામૂલ્યે આપવામાં આવશે. કોરોના વોરીયર્સને અલગ અલગ રીતે તેઓની કામગીરી માટે સરાહવા માટે આ પુસ્તક લખવામાં આવી છે.

કોરોના કાળમાં અને લોકડાઉનમાં જીવન જોખમે પોતાની ફરજ બજાવનાર કોરોના વોરીયર્સ એવા ડોક્ટર, નર્સ,પોલીસકર્મી,સફાઈકામદારોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે 'અ ટ્રીબ્યુટ ટુ અનસીન કોરોના વોરિયર્સ'નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. ગુજરાતનો પ્રથમ પુસ્તક છે જે હસ્તલિખિત અને હસ્તચિત્રિત છે. એટલે પુસ્તક પ્રિન્ટ કરવામાં નથી આવ્યું, પુસ્તકમાં રહેલા ચિત્રો પણ હાથથી જ દોરવામાં આવ્યા છે. પુસ્તકમાં દરેક પૃષ્ઠના શબ્દોને અનુરૂપ જ આ ચિત્રો પણ દોરાયા છે. યાજ્ઞિક કંઝારીયા,ડો.તૃપ્તિ ઉપાધ્યાય અને જયેશ પરમાર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. વિમોચન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરતમાં 18000 શબ્દોમાં હસ્તલિખિત અને હસ્તચિત્રિત પ્રથમ ગુજરાતની પુસ્તક લખવામાં આવી છે. આ પુસ્તક સુરતના કોરોના વોરીયર્સની અથાગ મહેનત અને મક્કમ મનોબળને શ્રદ્ધાંજલિ આપવા લખાઈ છે. જેમાં 80 થી વધુ કોરોના વોરીયર્સની કોરોના કાળ સમયની સત્ય ઘટનાઓને આવરી લેવામાં આવી છે.