રાજ્યમાં "સુજલામ સુફલામ" જળ અભિયાનના ચોથા તબક્કાનો આજથી પ્રારંભ 
01, એપ્રીલ 2021

ગાંધીનગર

સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ અભિયાન 31મે સુધી ચાલશે. આ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમના ડિસીલ્ટીંગ અને રિપેરીંગ, હયાત જળાશયોનું ડિસીલ્ટીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, નહેરોની સાફસફાઇ, મરામત-જાળવણી તેમજ નદી, વોકળા, કાંસની સાફસફાઇને નદી પૂન: જીવીત કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે.

સુજલામ સુફલામ જળ અભિયાનના આ વર્ષના જે 18582 કામોનું આયોજન જળસંપતિ વિભાગે હાથ ધર્યુ છે, તેમાં લોકભાગીદારીથી 6323 તળાવો, ચેકડેમ, જળાશયો, ઊંડા ઉતારવા ડીસીલ્ટીંગ કરવાની કામગીરી કરાશે. આ હેતુસર 60 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને 40 ટકા સ્વૈચ્છીક સંસ્થા કે દાતાઓ ઉપાડશે. એટલું જ નહિ, મનરેગા યોજના અંતર્ગત 6681 તળાવો અને ચેકડેમ ઊંડા કરવા તેમજ પરંપરાગત જળસ્ત્રોતોના નવિનીકરણ કામો, માટીપાળા-ખેતતલાવડીના કામો થકી અંદાજે 60 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન કરવાનું પણ માઇક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution