ગાંધીનગર-

રાજ્ય સરકાર કચ્છમાં મીઠાના લેયરથી સફેદ દેખાતાં નાના રણમાં શિયાળા દરમિયાન વડા પ્રધાન મોદીએ શરૂ કરાવેલાં રણોત્સવનું આયોજન દર વર્ષે કરે છે. રાજ્ય સરકારે પણ એની જાહેરાતો, ઉદ્ધાટન સમારંભો પાછળ દર વર્ષે તગડો ખર્ચો કરે છે. સરકારને જે રોયલ્ટી મળે છે, એ રકમ ઘણી ઓછી હોય છે. સરકારે બે વર્ષમાં તેને રોયલ્ટી પેટે થયેલી આવકનાં આંકડા જાહેર કર્યાં છે.

જે મુજબ સરકારને ૨૦૨૦માં ૪.૮૨ કરોડની અને ૨૦૧૯માં ૪.૬૨ કરોડની જ રોયલ્ટી પેટે આવક થઈ છે. આની સામેસ રકારે ૨૦૨૦માં ૮.૬૬ કરોડ રૂપિયાનો ખર્ચ અને ૨૦૧૯માં ૫.૧૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. રણોત્સવ દ્વારા સ્થાનિક ધોરણે રોજગારીનું પણ મોટાપાયે નિર્માણ થયું હોવાના સરકાર દાવા કરતી રહે છે. પરંતુ આ સંદર્ભે વિધાનસભામાં ધારાસભ્યોની પૃચ્છામાં સરકારે એવું જણાવ્યું છે કે સ્થાનિક ધોરણે કેટલી રોજગારી રણોત્સવ દ્વારા ઉભી થઈ તેનું કોઈ મૂલ્યાંકન ઉક્ત બે વર્ષમાં કરવામાં આવ્યું નથી.