કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને 21 વર્ષ સુધી સહાય આપશે સરકાર
10, જુલાઈ 2021

ગાંધીનગર-

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને મોકળા મને કાર્યક્રમ યોજ્યો હતો. જે દરમ્યાન મુખ્યપ્રધાને કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન રૂપાણીએ ચાલુ કાર્યક્રમ દરમ્યાન મુખ્યમંત્રી બાલ સહાય યોજનાની ઉંમરમાં વધારો કરવાની જાહેરાત કરી. મુખ્યપ્રધાને અનાથ બાળકો માટેની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાની જાહેરાત કરી છે. અગાઉ આ વયમર્યાદા ૧૮ વર્ષ સુધીની હતી.

પરંતુ હવે અનાથ બાળક ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી તેમને સહાય મળી શકશે. અનાથ બાળકો સાથેના સંવાદ દરમ્યાન તેમના પાલક માતા-પિતા પણ ઉપસ્થિત રહ્યા. ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકોને ૪ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દ્વારા પ્રથમ તબક્કે ૭૭૬ બાળકોને સહાય ચૂકવવામાં આવી છે. કાર્યક્રમ દરમ્યાન મુખ્યપ્રધાને સમાજ સુધારણા અધિકારીઓને દીકરીઓના લગ્ન માટે તેમના ખાતામાં ૧૦ હજાર રૂપિયા જમા કરાવવાનું સૂચન કર્યું.દીકરી લગ્ન કરવા લાયક થાય ત્યારે તેને ૧ લાખ રૂપિયા મળે તેવું આયોજન કરવા મુખ્યપ્રધાને જણાવ્યું હતું. કે જેથી દીકરીને આગળ અભ્યાસ કરવા માટે પણ તે પૈસા ખર્ચ કરવા હોય તો કરી શકે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ હેઠળ હવે બાળકો ને ૨૧ વર્ષની વય સુધી માસિક રૂ. ૪,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ યોજનામાં વય મર્યાદા અગાઉ ૧૮ વર્ષની હતી તે વધારીને હવે ૨૧ વર્ષની કરવામાં આવી છે. એટલે કે કોરોના માં માતા પિતાનું અવસાન થતા નિરાધાર થયેલા બાળક ની વય ૨૧ વર્ષ થતા સુધી રાજ્ય સરકાર દર મહિને ૪૦૦૦ ની સહાય આવા બાળક ને આપશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution