ગીર સોમનાથ-

રાજ્યના નાયબ મુખ્યમંત્રી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે મંદિરમાં દર્શન પણ કર્યા હતા. તો બીજી તરફ તેમણે અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટર્સ હડતાળ છોડે અને નિયત સ્થળે હાજર થાય પછી જ સરકાર તેમની સાથે વાતચીત કરશે. અને ડોક્ટર બની ગયા પછી રેસિડેન્ટ ડોક્ટર્સે હોસ્ટેલમાં રોકાવવાનો કોઈ હક નથી. આ સાથે જ નાયબ મુખ્યપ્રધાને તબીબોના આ હડતાળને ગેરવ્યાજબી અને અયોગ્ય જણાવી હતી. 

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક વખત સરકારી મેડિકલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કરીને ડોકટર બની ગયા બાદ એ ભૂતપૂર્વ વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવાનો અધિકાર નથી. તેમ જ સરકારી કોલેજમાં મેડિકલ અભ્યાસમાં ભરતી વખતે બોન્ડ સાઈન થયેલ હોય છે, જેમાં વ્યક્તિ કાં તો સરકારના આરોગ્ય વિભાગ વતી હેલ્થ સેન્ટરમાં 1 વર્ષ નોકરી કરશે અથવા 10 લાખ રૂપિયાના બોન્ડ જમા કરાવશે. નાયબ મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, રેસિડેન્ટ ડોકટર્સ આ શરતનો ભંગ કરીને ગેરવ્યાજબી હડતાળ કરી રહ્યા છે. આ મુદ્દે સરકાર જરા પણ નમતું જોખવાની નથી. કોરોના કાળમાં સેવા કર્યા બાદ હવે ડોકટર્સે પોતાને નિયત કરેલા હેલ્થ સેન્ટર્સ પર હાજર થવું જ પડશે. અને ત્યારબાદ શક્ય બદલી સરકાર કરી આપશે ત્યારે રેસિડેન્ટ ડોકટરો અને સરકાર વચ્ચે ચાલતો વિવાદ હજુ વધુ ભડકતો દેખાઈ રહ્યો છે. આમ, તબીબો અને સરકાર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નાયબ મુખ્યપ્રધાનના નિવેદન બાદ ફરી આ મામલો વધુ ગરમાયો છે.