ન્યૂ દિલ્હી

આઈસીસી ડબ્લ્યુટીસી ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મેચ દર્શકોની હાજરીમાં રમાશે. યુકેના વડા પ્રધાન બોરીસ જ્હોન્સને પુષ્ટિ કરી છે કે ૧૭ મેથી ઇંગ્લેન્ડના આઉટડોર રમતના સ્થળોએ ૧૦,૦૦૦ થી વધુ પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવશે. જેનો અર્થ એ થયો કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૮ થી ૨૨ જૂન દરમિયાન રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉધમ્પ્ટનમાં ૧૮ થી ૨૨ જૂન દરમિયાન યોજાશે. ૧૦,૦૦૦ જેટલા પ્રેક્ષકો અથવા ૨૫% ક્ષમતા જેનો આંકડો ઓછો છે, તેને મોટા આઉટડોર સ્થાનો પર મંજૂરી આપવામાં આવશે જ્યારે નાના આઉટડોર સ્થળોએ મર્યાદા ૪,૦૦૦ અથવા ૫૦% ક્ષમતા પર રાખવામાં આવશે.

સરકારને આશા છે કે ૨૧ જૂનથી સ્થળ પર પહોંચનારા દર્શકોની સંખ્યામાં વધારો થશે. જ્યારે ઇંગ્લેન્ડમાં બંધનો વધુ હટાવવામાં આવે તેવી અપેક્ષા છે. બીસીસીઆઈએ વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમને ૧૯ મેના રોજ બાયો બબલ પર જવા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા ઇંગ્લેન્ડ જવા માટે કહ્યું છે. બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતમાં બાયો બબલ બનાવવામાં આવી રહ્યો છે. જેથી ભારતીય ખેલાડીઓ યુકેના અઘરા ક્વોરન્ટીન થી બચી શકે.