ઈસ્લામાબાદ-

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે સ્થાનિક સ્તર પર થઈ રહેલા વિરોધ સામે ઝૂકી જઈ ભારતમાંથી કપાસ અન ખાંડની આયાત કરવાના ર્નિણયને ફેરવી નાખ્યો છે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસ મુજબ, ઈમરાન ખાનની કેબિનેટે ભારત પાસેથી કપાસ અને ખાંડ આયાત કરવાના કેબિનેટ આર્થિક સમન્વય સમિતિના ર્નિણયને ફગાવી દીધો છે. ભારત પાસેથી કપાસ માંગવાની કાપડ ઉદ્યોગ માંગ કરી રહ્યો છે, તો કટ્ટરપંથી એ વાતને લઈને ઈમરાન સરકારની ટીકા કરી રહ્યા હતા કે, તે કાશ્મીરમાં પરિવર્તન વિના જ ભારત સામે ઝૂકી ગઈ. ગુરુવારે પાકિસ્તાનની કેબિનેટના ર્નિણયમાં કપાસની આયાતના ર્નિણય પર રોક લગાવવાનો ર્નિણય થયો. એ પહેલા પાકિસ્તાનની કેબિનેટ આર્થિક સમન્વય સમિતિએ બુધવારે ભારત સાથે વેપારને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી હતી. સમિતિએ કહ્યું હતું કે, પાકિસ્તાન ૩૦ જૂન ૨૦૨૧થી ભારતમાંથી કપાસ આયાત કરશે. પાકિસ્તાન સરકારે ખાનગી ક્ષેત્રને ભારત પાસેથી ખાંડની આયાતને પણ મંજૂરી આપી દીધી હતી.

પાકિસ્તાને વર્ષ ૨૦૧૬માં ભારતમાંથી કોટન અને અન્ય કૃષિ ઉત્પાદનોને આયાત પર રોક લગાવી દીધી હતી.. સૂત્રો મુજબ, પાકિસ્તાનમાં ખાંડની વધતી કિંમતો અને સંકટોનો સામનો કરી રહેલા કાપડ ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે ભારતની સાથે વેપારની ફરીથી શરૂઆત કરવાની મંજૂરી આપી હતી. બંને દેશોમાં તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે આ પાકિસ્તાનનો ભારત સાથે સંબંધો સુધારવાની દિશામાં પહેલો મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો હતો.

કપાસની અછતને કારણે પાકિસ્તાનના કાપડ ઉદ્યોગને ભારે સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના કાપડ મંત્રાલયે ભારતમાંથી કપાસની આયાત પર લાગેલા પ્રતિબંધને હટાવવાની ભલામણ કરી હતી, જેથી કાચા માલની અછતને દૂર કરી શકાય. આ દબાણમાં ઈમરાન ખાન પહેલા કપાસની આયાતને મંજૂરી આપી, પરંતુ જ્યારે વિવિધ રાજકીય પક્ષોએ તેમને ઘેરવાનું શરૂ કર્યું તો આ ર્નિણયને રદ કરી દેવાયો.