ધ્વજારોહણ કરી શકે તે માટે સિસ્ટમ કાર્યરત થશે
02, જુલાઈ 2021

ગીર સોમનાથ, વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના ૧૫૧ ફૂટ ઉંચા ગગનચુંબી શિખર પર લહેરાતી ધ્વજા ભાવિકો આગામી ત્રણેક મહિનામાં સ્વહસ્તે ધ્વજા ચડાવી શકે તેવી સીસ્ટમ મંદિરમાં લગાવવાનું નક્કી કરાયું હોય તે માટેનો સર્વે પણ થઈ ગયો છે.આ સીસ્ટમ એવી છે કે, સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવ ભક્તો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે. આ અંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, આ યાંત્રિક સીસ્ટમથી ચડનારી ધ્વજા શિવભક્તો ખુદ જાતે જ શિખર સુધી ચડાવી શકશે અને ત્યાંથી શિખર પરથી આગળની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે. આ સીસ્ટમ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ દ્વારા સોમનાથ મંદિરને અર્પણ કરવામાં આવશે. આ સીસ્ટમ સોમનાથ મંદિરમાં લગાવવા માટે સર્વે થઇ ચુક્યો છે અને તેને સંલગ્ન કામગીરી ચાલી રહી છે. આગામી બે થી ત્રણ માસમાં આ નવી સીસ્ટમ કાર્યરત થઈ જવાની આશા છે. હાલ આ પ્રકારની ધજારોહણ સીસ્ટમ ખોડલધામ ખાતે કાર્યરત છે.અત્રે નોંધનીય છે કે, સને.૧૯૫૧ માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા ૭૦ વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યા હતા. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિક સહપરિવાર ધ્વજપૂજા કરતા અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution