અમદાવાદ-

રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સ્પષ્ટતા કરી છે કે રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મા અમૃતમ કાર્ડ બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે.

આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ પરિવારના નાગરિકોને ગંભીર બીમારી સામે આર્થિક રીતે મદદરૂપ થવા માટે શરૂ કરાયેલ રાજય સરકારની મહત્વાકાંક્ષી એવી મા અમૃતમ કાર્ડની યોજનાને રાજયવ્યાપી વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે આ યોજના બંધ કરવામા આવનાર છે એવા ખોટા મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા છે એ સમાચારો સત્યથી વેગળા છે. નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. 

તેમણે ઉમેર્યુ કે મુખ્યમંત્રી અમૃતમ મા/ મા વાત્સલ્ય યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે. પરંતુ તમામ હોસ્પિટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે. તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે. જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી.