અમદાવાદ-

ગુજરાત સહિત દેશમાં કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં લોકોને અપાઈ રહી છે. હવે ભારત બાયોટેકે મોટી જાહેરાત કરી છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન હવે ગુજરાતમાં થશે. અંકલેશ્વરમાં તેનું ઉત્પાદન થશે. ગુજરાતીઓ માટે ગર્વની બાબત કહેવાય કે વૈશ્વિક મહામારીનું શસ્ત્ર હવે પોતાની ધરા પર તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતમાં એક વર્ષમાં ભારત બાયોટેકની કોવેક્સીનના 20 કરોડ ડોઝનું ઉત્પાદન થશે. ભારત બાયોટેકે તેની જાહેરાત પણ કરી છે. 1 વર્ષમાં 20 કરોડ ડોઝ બનશે એટલે સ્વાભાવિક છે તેનો ગુજરાતને ફાયદો ચોક્કસ થઈ શકે છે. ભરૂચના અંક્લેશ્વરમાં તેનું ઉત્પાદન થશે.

ભારત બાયોટેકના કો-ફાઉન્ડર સુચિત્રા એલ્લાએ ટ્વિટ કરી આ માહિતી આપી છે કે અંકલેશ્વર સ્થિતિ કંપનીની સબ્સિડરી Chiron behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે. સૂત્રો અનુસાર જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ શકે છે, જ્યારે ટૂંક સમયમાં કંપ્નીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. ગુજરાતમાં શરૂ થનાર કોવેક્સીનનું ઉત્પાદનના કારણે ગુજરાતીઓને વિશેષ લાભ મળશે કે નહીં તે ઉપર હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાશે. અંકલેશ્વર સ્થિતિ સબ્સિડરી Chiron behring Vaccinesની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.